ઑસ્ટ્રેલિયા સામે મૅલબર્નમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં ધોનીએ પોતાનો કમાલ દેખાડી દેતાં હાલમાં તેની ચર્ચા ક્રિકેટ જગતમાં જોરશોરથી થઈ રહી છે. લોકોએ કહ્યું હતું તે ખતમ થઈ ગયો છે વૃદ્ધ થઈ ગયો છે હવે ટીમ પર બોજ છે અને તેણે હવે નવા ખેલાડી માટે જગ્યા કરી આપવી જોઈએ પરંતુ ભારતને આઈસીસીની ત્રણ-ત્રણ ટ્રોફીઓ અપાવનાર મહેન્દ્રસિંહ ધોનીએ દરેક વખતની જેમ ફરીવાર પોતાના ટીકાકારોને પોતાના બેટથી જવાબ આપી દીધો છે.
ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર પ્રથમવાર વનડે સિરીઝમાં હરાવનારી ટીમ ઈન્ડિયામાં ધોનીનું યોગદાન અગત્યનું રહ્યું હતું. તેણે ત્રણેય વનડે મેચોમાં હાફ સેન્ચુરી ફટકારી અને અંતિમ બે વન મેચમાં એ જ ફિનિશર ધોની જોવા મળ્યો જેના તમામ ક્રિકેટચાહકો દિવાના છે. ધોનીને વન ડે મેચીસમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ‘મેન ઓફ ધ સિરીઝ’ જાહેર કરવામાં આવ્યો. તેણે સિરીઝમાં કુલ 193 રન બનાવ્યા અને બે વાર ભારતીય ટીમની જીત સુનિશ્ચિત કર્યા પછી પેવેલિયનમાં પરત આવ્યો હતો. જો કે ધોનીની ટીમ ઈન્ડિયામાં અગત્યતા શું છે તેને ટીમના કોચ રવિ શાસ્ત્રીના નિવેદનથી સારી રીતે સમજી શકાય તેમ છે.
ઈંગ્લેન્ડના પૂર્વ કપ્તાન માઈકલ વોનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં શાસ્ત્રીએ કહ્યું હતું ‘તમે ધોનીનું સ્થાન અન્ય કોઈને આપી ન શકો અને ન તો તેને બદલી શકો છો. આવા ખેલાડી 30-40 વર્ષમાં એકવાર આવે છે. હું ભારતીયોને પણ એ જ કહું છું કે જ્યાં સુધી એ રમી રહ્યો છે ત્યાં સુધી તેનો આનંદ લો. જ્યારે તે જશે ત્યારે તમે એક ખાલી જગ્યા જોશો જેની ભરપાઈ કરવી ઘણું જ મુશ્કેલ હશે.
37 વર્ષનો ધોની ટીમ ઈન્ડિયાનો સૌથી અનુભવી ખેલાડી છે અને કપ્તાન વિરાટ કોહલીને સમયાંતરે સલાહ આપતો પણ જોવા મળે છે. ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ) લેવામાં અનેકવાર વિરાટ કોહલીને ધોનીની સલાહ લેતો જોવામાં આવ્યો છે.
મેલબોર્નમાં વિજય પછી કપ્તાન કોહલીએ પણ કહ્યું હતું ‘ટીમ ઈન્ડિયામાં ધોનીથી વધુ સમર્પિત ખેલાડી કોઈ નથી અને પાંચમા ક્રમે બેટિંગમાં ઉતરવું તેના માટે આદર્શ છે.