મતદારો પર જ્યારે નેતાઓના શબ્દોનો જાદુ ન ચાલે ત્યારે શું થાય. આ સવાલનો જવાબ ભાજપે શોધી કાઢ્યો છે. મધ્યપ્રદેશમાં ભાજપે વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરવાની જવાબદારી જાદુગરોને સોંપી. એટલે કે હવે શિવરાજના 15 વર્ષના રાજમાં થયેલા કામોની વાત માત્ર નેતાઓ જ નહી જાદુગરો પણ કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે નેતાઓના ભાષણનો પનો ટુંકો પડ્યો ત્યારે જનતા સુધી વાત પહોંચાડવા ભાજપે જાદુગરો સહારો લીધો હતો. ભાજપે મહારાષ્ટ્રથી જાદુગરોની 36 ટીમ બોલાવી અને કમળ ખિલલવા માટે કામે લગાડી દિધા અને પરિણામ જે આવ્યું તે આપણી સમક્ષ છે.
ગુજરાતમાં અપનાવેલી આ રણનીતિ શિવરાજ સિંહને પસંદ પડી ગઇ. એટલે મધ્યપ્રદેશમાં થનારા મતદાર પહેલા શિવારાજ સિંહ પણ પ્રચારમાં જાદુગરોની મદદ લેવા જઇ રહ્યા છે.
ભાજપના પ્રવક્તા રજનીશ અગ્રવાલે જાણકારી આપતા કહ્યું કે અમે કેમ્પેઇન અને પલ્બિસિટી માટે જાદુગરોની મદદ લેવાની તૈયારીમાં છીએ. પાર્ટીએ 15 વર્ષમાં કરેલા કામોને હાઇલાઇટ કરવા અને કોંગ્રેસ સરકારથી તુલના કરવા માટે જાદુગરોની મદદ લેવામાં આવશે. મેજીક શૉનું આયોજન ખાસ કરીને ગ્રામીણ અને સેમી અર્બન વિસ્તારમાં કરવામાં આવશે.
મધ્યપ્રદેશમાં 28મી નવેમ્બરે મતદાન થશે. શિવરાજ સિંહ છેલ્લા ત્રણ વર્ષથી સતત મધ્યપ્રદેશમાં શાસન કરી રહ્યા છે પરંતુ આ વખતે કોંગ્રેસનું પલડુ ભારે લાગી રહ્યું છે કારણ કે છેલ્લા 15 વર્ષથી શાસન કરતા શિવરાજ સિંહ ઘણા વિવાદોમાં ઘેરાયા.
મંદસૌરમાં ખેડૂતો પર ગોળીઓ ચલાવવાથી લઇને દુષ્કર્મની ઘટના સરકાર માટે મુસીબત બની ગઇ. તો વ્યાપમ ગોટાળામાં ઉઠતા સળગતા સવાલ અને બાબાઓને કેબિનેટ મંત્રી બનાવવા મામલે પણ શિવરાજ સિંહ સામે સવાલ ઉઠ્યા પરંતુ શિવરાજ સિંહની ચિંતા કંઇક બીજી જ છે જેને આંકડાની મદદથી સમજો.
ગયા વખતે એટલે કે 2013માં વિધાનસભાની કુલ 230 બેઠકોમાંથી ભાજપને 165 મળી તો કોંગ્રેસને 58 બસપાને 4 અને અન્યોને 3 બેઠકો મળી પરંતુ ભાજપનો વોટ શેર 45.7 ટકા કોંગ્રેસનો 37.1 ટકા બસપાનો 6.4 ટકા અને અન્યનો 5.5 ટકા હતો.
આ પહેલા વર્ષ 2008માં ભાજપને 37.6 ટકા વોટશેર સાથે 143 બેઠકો મળી હતી. જ્યારે 32.4 ટકા વોટશેર હોવા છતાં માત્ર 71 બેઠકો મળી અને એ પહેલા વર્ષ 2003માં જ્યારે શિવરાજ સિંહ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે ભાજપને 173 બેઠકો મળી હતી અને વોટશેર 42.5 ટકા હતો.
જ્યારે કોંગ્રેસને માત્ર 38 બેઠકો મળી પરંતુ વોટશેર 31.6 ટકા હતો. એટલે છેલ્લા પંદર વર્ષમાં કોંગ્રેસ મધ્યપ્રદેશમાં સરકાર બનાવવામાં ભલે સફળ ન રહી હોય પરંતુ તેમે મત આપનાર લોકોની સંખ્યા દરવખતે વધતી ગઇ.
જેથી શિવરાજ સિંહને ડર છે કે જો આ જ પ્રકારનો પ્રવાહ આ વખતે પણ યથાવત રહેશે તો મુખ્યમંત્રીપણુ ઝુંટવાઇ જશે. એટલે જે પણ રીતે જનતા સુધી સારી રીતે વાત પહોંચાડી શકાય તે માટે શિવરાજ સિંહ સતત પ્રયત્નશીલ છે.