મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રેલવેનો નિર્માણાધીન અંડરબ્રિજ ધરાશાયી થતા પ્રશાસન થયુ દોડતુ. 3 લોકો કાટમાળમાંથી સુરક્ષિત બહાર કઢાયા, રેસક્યુની કામગીરી યથાવત
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં દુર્ઘટના
નિર્માણાધીન અંડરબ્રિજ થયો ધરાશાયી
અનેક શ્રમિકો દટાયાની આશંકા, 2ના મોત
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. રેલવેનો નિર્માણાધીન અંડર બ્રિજ ધરાશાયી થયો છે. ઘટનાને પગલે રેલવેનું તંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસક્યુની કામગીરી કરી રહી છે. બ્રિજ ધરાશાયી થતા અનેક લોકો દટાઇ ગયા જ્યારે બે લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યુ છે. મોડી રાતથી ચાલી રહેલી રેસક્યુ કામગીરીમાં 3 લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે.
સુમરી રેલ્વે સ્ટેશન પાસે બની દુર્ઘટના
સુમરી રેલ્વે સ્ટેશન પાસે રેલ્વે ફાટક નંબર 10B પર નિર્માણાધીન અંડર બ્રિજ પર આ દુર્ઘટના બની. સુમરી રેલવે સ્ટેશન પાસે રેલવે ફાટક પર અંડર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું આ અન્ડર બ્રિજ ગડૌલા જાગીર સહિત અનેક ગામોને જોડવા માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ અચાનક માટી ધસી પડતા જ અફરાતફરી મચી ગઇ . એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે અડધો ડઝનથી વધુ લોકો કાટમાળ હેઠળ દબાયા હતા. ઘણા મજૂરો અને રેલ્વે કર્મચારીઓ પણ ત્યાંથી ભાગી ગયા પરંતુ અનેક લોકો હજી પણ કાટમાળમાં ફસાયાની આશંકા છે.
દુર્ઘટનામાં 2 ના મોત
દુર્ઘટના અંગે ખુરાઈ દેહાત સ્ટેશનના પ્રભારી શૈલેન્દ્ર રાજાવતે જણાવ્યું કે આ અકસ્માતમાં સુખરામ અહિરવાર અને આરએસ મીનાનું મોત નીપજ્યુ છે. આરએસ મીના સેક્શન એન્જિનિયર હતા અને સવાઈ માધોપુર રાજસ્થાનના વતની હતા. જ્યારે એન્જિનિયર સુખરામ અહિરવાર કટની જિલ્લાનો રહેવાસી હતો. આ ઘટનામાં અન્ય ઘણા મજૂરો અને કર્મચારીઓ ઘાયલ થયા છે. જેમાં દીપક, દેવેન્દ્ર અને શેર સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે ડોક્ટરોના જણાવ્યા અનુસાર ત્રણ ઘાયલોની હાલત ખતરાની બહાર છે. પોલીસ અને રેલવેએ ઘટનાની તપાસ હાથ ધરવાનું જણાવ્યું છે. અહીં અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોના પોસ્ટમોર્ટમની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.