કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને મધ્યપ્રદેશ સરકારે સ્કૂલોને લઇને મોટો નિર્ણય લીધો છે. મધ્ય પ્રદેશ સરકારે નિર્ણય લીધો છે કે હવે ધોરણ 1 થી લઇને 8મી સુધીના કલાસ 31 માર્ચ-2021 સુધી ખોલવામાં આવશે નહીં. કોરોનાના કારણે સ્કૂલોને લઇને મધ્ય પ્રદેશ સરકારની નવી ગાઇડલાઇન મુજબ હવે પ્રદેશમાં નવા શૈક્ષણિક સત્ર 01 એપ્રિલ 2021થી શરુ થશે.
આ સિવાય નક્કી કરવામાં આવ્યું કે આ શિક્ષણ સત્રમાં પાંચમી અને આઠમીની બોર્ડની પરીક્ષાન નહીં યોજવામાં આવે. ધોરણ 1 થી 8 સુધી પ્રોજેક્ટ વર્કના આધાર પર મૂલ્યાંકન કરવામાં આવશે.
આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે 10મી અને 12મા ધોરણના વર્ગો ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે અને તેઓની બોર્ડની પરીક્ષા પણ લેવાશે. જ્યારે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને અઠવાડિયામાં 1 અથવા 2 દિવસ સ્કૂલ બોલાવામાં આવશે.
રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારે સાંજે સ્કૂલ શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્કૂલ શિક્ષણ મંત્રી ઇંદર સિંહ પરમાર અને મુખ્ય સચિવ ઇકબાલ સિંહ બેંસ પણ સામેલ થયા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે મધ્યપ્રદેશમાં સ્કૂલ શિક્ષણ ક્ષેત્રમાં 'રેડિકલ' પરિવર્તન લાવવાનું છે જેનાથી અહીનું શિક્ષણ સર્વોત્તમ થઇ શકે.