મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મોરબી સિવિક બોડી તરફથી સિનિયર વકીલ દેવાંગ વ્યાસ હાજર થયા હતા અને વકીલ દેવાંગ વ્યાસે સિવિક બોડી તરફથી સોગંદનામુ રજૂ કર્યુ હતું. જેને લઇને સોગંદનામા બાદ મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસરને કોર્ટ સમક્ષ હાજર થવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે.
વધુ સુનાવણી 24 નવેમ્બરના હાથ ધરાશે
આગામી સુનાવણી દરમિયાન ચીફ ઓફિસરને ફિઝિકલી હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં સિવિક બોડી પાસે જનરલ બોર્ડની મંજૂરીની નકલ હોય તો તે પણ રજૂ કરો આદેશ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ઝુલતો પુલ તૂટયો તે દિવસે કોઈ પરવાનગી ન લેવામાં આવી હોવાનો પાલિકાએ હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર પણ કર્યો હતો. વધુમાં પાલિકાને આકારા સવાલો કરતા જણાવ્યું કે શા માટે જનરલ બોર્ડની મંજૂરી વિના બ્રિજ ઉપયોગની મંજૂરી આપી?, કોન્ટ્રાક્ટરે 2021માં બ્રિજની કંડિશન ક્રિટીકલ હોવાનું કહ્યું હતું તેમ છતા પણ શા માટે બ્રિજ ખુલ્લો મુકાયો ? તેવો અણીયારો સવાલ ઉઠાવ્યો હતો. બીજી બાજુ વધુ સુનાવણી 24 નવેમ્બરના હાથ ધરવામાં આવશે.
શું હતી સમગ્ર ઘટના ?
30 ઑક્ટોબરનાએ ગોઝારા દિવસે મોરબીની શાન સમાન ઝૂલતો પુલ એકાએક તૂટી પડ્યો હતો. હેરિટેજ ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં પડ્યા હતા. જેને લઇને રોકકળાટ ફેલાયો હતો. આ દરમિયાન મોરબીમાં ઝૂલતા પુલ પર 500 જેટલા લોકો હતા. આ દરમિયાન દુર્ઘટના બની હતી. જેને લઇને 200 થી વધુ લોકો મચ્છુ નદીના જળપ્રવાહમાં પડ્યા હતા. ત્યારબાદ બચાવ ટુકડીઑ દોડી આવી હતી અને લાંબી કાર્યવાહી બાદ 135 થી વધુ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.