વસ્તીવધારાને લઈને સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુંઃ માણસોમાં બીજાની રક્ષા કરવાની ભાવના હોવી જોઈએ, માત્ર જમવું અને વસ્તી વધારવી આ કામ તો જાનવર પણ કરે છે
જનસંખ્યા પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યું મોટું નિવેદન
માત્ર જમવું અને વસ્તી વધારવી આ કામ તો જાનવર પણ કરે છે
શક્તિશાળી હશે તે જીવતાં રહેશે તે જંગલનો નિયમ છે
સંઘ પ્રમુખ મોહન ભાગવતે શ્રી સત્ય સાંઇ યુનિવિર્સટી ફોર હ્યુમન એક્સલન્સના પહેલા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. ત્યાં તેમણે પોતાના સંબોધનમાં અનેક મુદ્દાઓ પર વાતચીત કરી. ધર્મ પરિવર્તનનો ઉલ્લેખ પણ કર્યો અને જનસંખ્યા વધારવા પર પણ મોટું નિવેદન આપ્યું.
માત્ર જીવતાં રહેવું એ જ જિંદગીનો ઉદ્દેશ નથી
મોહન ભાગવતે સ્પષ્ટ કહ્યું કે માત્ર જીવતાં રહેવું એ જ જિંદગીનો ઉદ્દેશ ન હોવો જોઇએ. મનુષ્યનાં ઘણાં કર્તવ્ય છે, જેનું નિર્વહન તેમણે સમયે સમયે કરવું જોઇએ. આ અંગે તેઓ કહે છે કે માત્ર જમવું અને વસ્તી વધારવી આ કામ તો જાનવર પણ કરે છે. શક્તિશાળી હશે તે જીવતાં રહેશે તે જંગલનો નિયમ છે. શક્તિશાળી લોકો બીજાની રક્ષા કરવા લાગે તો તે મનુષ્યની નિશાની છે.
જનસંખ્યા મામલે ચીનને પાછળ રાખી દેશે
અત્યારે દેશમાં જનસંખ્યાને લઇ વિવાદ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલાં યુએન રિપોર્ટમાં કહેવાયું હતું કે ખૂબ જ જલદી ભારત ચીનને પછાડી દેશે. હવે મોહન ભાગવતનું અત્યારે આવેલું આ નિવેદન તે સંદર્ભે જ હોય તેમ લાગી રહ્યું છે. પોતાના સંબોધનમાં તેઓ જનસંખ્યાને લઇને તો કંઇ ન બોલ્યા, પરંતુ જાનવર અને માણસનો ફરક જણાવતાં મોટો સંદેશ આપ્યો છે.
ભારતનો વિકાસ થયો છે
સમારંભમાં સંઘ પ્રમુખે ભારતના વિકાસ પર પણ ખૂબ વાતો કરી. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયમાં દેશે ઘણી પ્રગતિ કરી છે. ખૂબ વિકાસ જોયો છે. ઇતિહાસની વાતોમાંથી શીખતાં અને ભવિષ્યના વિચારોને સમજતાં ભારતે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પોતાનો સારો એવો વિકાસ કર્યો છે.