ગ્રેટ ઇન્ડિયન સ્લીપ સ્કોરકાર્ડ 2022એ માર્ચ 2021થી માર્ચ 2022 વચ્ચે મોબાઇલ ફોનના વપરાશને લઇને કર્યો સરવે
સ્માર્ટફોનના વપરાશને લઇને ચોંકાવનારો સરવે
ભારતીયોમાં જોવા મળી ગંભીર બીમાર
18થી 24 વર્ષના નવયુવાનો અનિંદ્રાનો શિકાર
મોબાઇલ ફોન આવવાથી દુનિયા આંગળીના ટેરવે થઇ ગઇ. મોબાઇલને કારણે અનેક સુવિધાઓ ઘરે બેઠા મળવા લાગી. કોમ્યુનિકેશન સરળ બની ગયુ પરંતું મોબાઇલની એવી લત લાગી ગઇ છે કે ન પૂછો વાત. એક મિનિટ આપણને મોબાઇલ વિના ચાલતુ નથી. અરે, ઘણા લોકો તો વૉશરુમમાં પણ મોબાઇલ લઇને જવાનો આગ્રહ રાખે છે. ત્યારે મોબાઇલ ફોનના વપરાશના સરવેને લઇને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ખાસ કરીને ભારતીયોએ માન્યુ છે કે મોબાઇલના બહોળા વપરાશને કારણે નાની વયમાં ગંભીર બીમારીનો ભોગ બન્યા.
મોબાઇલ ફોનનો વધુ પડતો ઉપયોગ જોખમી
ગ્રેટ ઈન્ડિયન સ્લીપ સ્કોરકાર્ડ (GISS) 2022 સર્વે માર્ચ 2021 થી ફેબ્રુઆરી 2022 દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યુ છે કે છેલ્લા પાંચ વર્ષમાં 2 લાખ લોકોએ અનીદ્રાથી પીડાય છે. મોબાઇલ ફોનના વધારે ઉપયોગને કારણે ભારતીયોમાં ઉંઘ ન આવવાની બીમારી ઉભી થઇ છે. દર ચારમાંથી એક ભારતીયને લાગે છે કે તેમને ઊંઘની સમસ્યા છે. સરવેમાં સામે આવ્યુ કે ભારતના 59% લોકો રાત્રે 11 વાગ્યા પછી સૂઈ જાય છે. તેનું મોટું કારણ સોશિયલ મીડિયા છે. 36% લોકો માને છે કે ડિજિટલ મીડિયાના કારણે તેમની ઊંઘ પર અસર થઈ છે. 88% લોકો ચોક્કસપણે ઊંઘતા પહેલા ફોન ચેક કરે છે. જો કે, ગયા વર્ષના સર્વેમાં 92% લોકો આવું કરી રહ્યા હતા. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 4 ટકા ઓછા લોકો સૂતા પહેલા ફોન ચેક કરી રહ્યા છે.
18થી 24 વર્ષના યુવાનોને ઉંઘની સમસ્યા
સમસ્યા એ છે કે 18 થી 24 વર્ષના યુવાનોએ જણાવ્યું કે તેમના રૂમના વાતાવરણને કારણે તેમની ઊંઘમાં ખલેલ પડી રહી છે. 18 વર્ષથી ઓછી ઉંમરના 80 ટકા યુવાનોએ સ્વીકાર્યું કે તેઓ ઉઠ્યા પછી તાજગી અનુભવતા નથી. દર ચારમાંથી એક ભારતીયને લાગે છે કે તે અનિદ્રાથી પીડાય છે. કોરોના પહેલાની સરખામણીમાં મોડી રાત્રે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની આદતમાં 57%નો વધારો થયો છે. 31% સ્ત્રીઓ અને 23% પુરુષોને લાગે છે કે તેમની ઊંઘ ઊડી ગઈ છે. 38% મહિલાઓ અને 31% પુરુષોને લાગે છે કે તેઓ સોશિયલ મીડિયાના કારણે મોડે સુધી જાગે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના 50% કિશોરોને પણ લાગે છે કે તેમને અનિદ્રા છે.
'કામને કારણે ઉંઘી નથી શકાતુ'
કોલકાતાના 40% લોકો એવા છે જેઓ અડધી રાત પછી ઊંઘે છે. હૈદરાબાદના 40% લોકોના મતે તેઓને કામના કારણે મોડે સુધી જાગવું પડે છે. ગુરુગ્રામમાં 36% લોકો એવું પણ માને છે કે કામને લીધે તેમને ઊંઘવામાં મોડું થાય છે. મુંબઈના 39% લોકો અને ગુરુગ્રામના 29% લોકો માને છે કે ઈલેક્ટ્રોનિક ઉપકરણોને જોતી વખતે ઘણો સમય વેડફાય છે. 43% દિલ્હીવાસીઓ એવું પણ માને છે કે તેમને ડિજિટલ મીડિયા પરનો સમય ઓછો કરવાની જરૂર છે.