RTE હેઠળ એડમિશન સાથે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારની આનંદ નિકેતન શાળાના 28 વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસના ગ્રૂપમાંથી લેક્ટ કરી દેવાતા કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ
આનંદ નિકેતન સામે પગલા ભરવા કોંગ્રેસની માંગ
ગરીબ બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનો કારસો
RTE અંગે ભાજપ પર પણ કોંગ્રેસના પ્રહાર
બંધારણ મુજબ 6થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો હક મળેલો છે. પરંતુ આજના સમયમાં કાયદાનો કેવી રીતે છેડ ઉડાડીને શાળાઓ પોતાની મનમાની કરે છે, તેનો એક કિસ્સો અમદાવાદની એક શાળાઓમાં જોવા મળ્યો. બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાના દાવા કરતી શાળામાંથી એક જ ઝાટકે 28 વિદ્યાર્થીઓને તરછોડી દેવામાં આવ્યા.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન શાળામાં ગયા વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ 28 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. પરંતુ હવે બીજા વર્ષ માટે શાળાએ 28 બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું. અને એ તમામ વિદ્યાર્થીઓને શાળાના ઓનલાઇન શિક્ષણના ગ્રૂપમાંથી રીમુવ કરી દેવાયા છે. અચાનક વિદ્યાર્થીઓને શાળાના ગ્રૂપમાંથી રીમુવ કરતા તેમજ ઓનલાઇન શિક્ષણ બંધ કરતા વાલીઓ દોડતા શાળાએ પહોંચ્યા હતા. ત્યારે જાણવા મળ્યું કે એમને જે આધાર પર RTE હેઠળ એડમિશન લીધું છે. એ ખોટા દસ્તાવેજોના આધારે લીધું હોવાનું શાળા દાવો કરી રહી છે. આનંદ નિકેતન શાળા અમદાવાદની ટોપ કક્ષાની શાળાઓમાં સમાવેશ પામે છે. આ સ્થિતિમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવનાર બાળક શાળા સંચાલકોને ડંખે એ સ્વાભાવિક છે. કારણકે અહીંયા પ્રાઇમરી શિક્ષણની ફી દોઢ લાખ રૂપિયાથી શરૂ થાય છે. વાલીઓ તો એવા આક્ષેપો પણ કરે છે કે આ શાળામાં ડોનેશન આપવું ફરજીયાત છે.
28 બાળકોને થયેલા અન્યાયનો અહેવાલ VTVએ પ્રસારીત કર્યો હતો. બાળકોને અન્યાય થયાની વાત પ્રકાશમાં આવતા અમદાવાદનો શિક્ષણ વિભાગ સક્રિય થયો અને VTVના અહેવાલ બાદ DEO ઓફિસના અધિકારીઓએ સ્કૂલે પહોંચ્યા હતા. અધિકારીઓ શાળાએ દોડી આવતા શાળા સંચાલકોને તેમણે લીધેલા નિર્ણયની ગંભીરતા સમજાઈ હતી. અને અધિકારીઓ સામે સ્કૂલે ફરી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની ખાત્રી આપી છે.
જેને લઈ તેની સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ વિરોધ દર્શાવતા કહ્યું કે, આનંદ નિકેતન શાળા દ્વારા બાળકોને શિક્ષણથી વંચિત રાખવાની કોશિશ થઈ રહી છે. શાળામાં RTE લાગુ કરવાને લઈને કોંગ્રેસે ભાજપ પર કર્યા પ્રહાર છે. બાળકોને મફત શિક્ષણનો અધિકાર કોંગ્રેસની સરકારે આપ્યો છે. સંચાલકો રાઈટ ટૂ એજ્યુકેશનમાં પોતાની મનમાની ચલાવી રહ્યા છે. સાથે આનંદ નિકેતન સ્કૂલની દાદાગીરી સામે કોંગ્રેસે તપાસની માગણી કરી છે. સ્કૂલની મનમાની સામે રાજ્ય સરકાર પગલા લે તેવી કોંગ્રેસ માગણી કરી છે.