અરવલ્લી: લોકસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે શક્તિપ્રદર્શન શરૂ કર્યુ છે. કોંગ્રેસમાં સન્માન ના મળી રહ્યું હોવાની વાતો વચ્ચે અલ્પેશ ઠાકોરે શક્તિપ્રદર્શન કર્યુ. અલ્પેશ ઠાકોર દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં અંબાજીથી એકતા યાત્રાની શરૂઆત થઇ હતી.
ખેડૂતો અને બેરોજગારીના મુદ્દે એકતાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા અંબાજીથી નીકળીને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફરશે. યાત્રા મધ્યગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં પણ ફરશે. 12 દિવસ બાદ ગાંધીનગરમાં યાત્રાનું સમાપન થશે. આ યાત્રાને અલ્પેશે સમાજની એકતા ગણાવી છે. અલ્પેશ ઠાકોરે એકતા અને પ્રેમના સંદેશાની યાત્રા ગણાવી છે.
એકતા યાત્રા પૂર્વે સર્જાયો હતો વિવાદ
અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા પૂર્વે ઠાકોર સેનામાં વિખવાદ જોવા મળી રહ્યો છે. જેમાં બનાસકાંઠા ઠાકોર સેનાના પૂર્વ હોદ્દેદારોએ અલ્પેશ ઠાકોર પર આક્ષેપ કર્યો છે કે અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા સમાજ માટે નહીં પરંતુ પોતાના વિકાસ માટેની યાત્રા છે અને સમાજના નામે સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરી રાજકારણ કરવામાં આવી રહ્યુ છે. આમ એકહથ્થુ શાસનથી સમાજ તૂટી રહ્યો છે.
મહત્વનું છે કે એકતા યાત્રામાં ઠાકોર સમાજના સંગઠનને અને પાયાના કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યુ નથી. તમને જણાવીએ કે કોંગ્રેસમાં અસંતોષ વચ્ચે અલ્પેશ ઠાકોરની વધારે એક યાત્રા યોજાવા જઇ રહી છે.
કોંગ્રેસ પક્ષને સાઇડ લાઇન કરીને અલ્પેશ ઠાકોર યાત્રા કાઢશે. અલ્પેશની ઓબીસી એકતા યાત્રાથી બળતામાં ઘી હોમાઇ તેવી સંભાવના છે. કોંગ્રેસની રાજયવ્યાપી યાત્રા પહેલા અલ્પેશની પોતાની યાત્રાથી ધમાસાણ થયુ છે.
તમને જણાવી દઇએ કે એકતા યાત્રા માટે અલ્પેશ ઠાકોરે લાખો રૂપિયાની વેનિટી વાન પણ તૈયાર કરી છે. લકઝરીયસ વાનમાં અલ્પેશ ઠાકોર ગરીબ વર્ગની વાત કરશે! અલ્પેશની યાત્રાથી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ તેજ બનવાની સંભાવના છે.