અયોધ્યા મામલે સુનાવણી હાથ ધરતા આજે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. આગામી 6 ઓગસ્ટથી હવે રોજે રોજ આ કેસમાં સુનાવણી હાથ ધરાશે. આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે મધ્યસ્થતાનું કોઈ પરિણામ આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા એક સમિતિની 8 માર્ચના રોજ રચના કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ ખલીફુલ્લા, વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર સામેલ છે. અયોધ્યા મધ્યસ્થતા સમિતિને 31 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ સમિતિ દ્વારા એક રિપોર્ટ કોર્ટમાં રજુ કરવામાં આવેલ.
ઉલ્લેખનીય છે કે, મધ્યસ્થતા સમિતિ દ્વારા રામ મંદિર- બાબરી મસ્જિદ વિવાદ સમાધાન શોધવામાં નિષ્ફળ રહી હોવાનું સાબિત થયું હતું અને હવે વાતચીત થકી આ વિવાદનું નિરાકરણ શક્ય નથી.
રિટાયર્ડ થઇ રહ્યા છે CJI રંજન ગોગોઇ
17 નવેમ્બર 2019ના રોજ બંધારણીય બેન્ચના પ્રમુખ એટલે કે સીજેઆઈ રંજન ગોગોઈ રિટાયર થઈ રહ્યાં છે. આથી એવી અટકળો થઈ રહી છે કે તેમની નિવૃત્તિ પહેલા જ આ મામલે કોઈ ચૂકાદો આવી શકે છે.
ખુલ્લી અદાલતમાં થશે સુનાવણી
શુક્રવારના રોજ CJI રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બેંચ દ્વારા આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હવે 6 ઓગસ્ટના રોજ આ સમગ્ર મામલાની સુનાવણી ખુલી અદાલતમાં કરવામાં આવશે. અલાહાબાદ હાઈકોર્ટે આપેલા 2010માં આ મામલે આપેલા ચૂકાદા પર હવે દરરોજ સુનાવણી થશે
મધ્યસ્થતા પેનલ દ્વારા 7 મે ના રોજ રજુ કરાયો અંતરિમ રિપોર્ટ
સુપ્રીમ કોર્ટે વિવાદીત જમીનનું સમાધાન વાતચીત દ્વારા કરવાની પહેલ કરી હતી. 8 માર્ચ 2019ના રોજ સુપ્રીમ કોર્ટના 3 સભ્યો વાળી મધ્યસ્થતા સમિતિની રચના કરાયેલ. આ સમિતિએ 7 મેના રોજ અંતરિમ રીપોર્ટ રજુ કર્યો હતો.
અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદ
અયોધ્યા જમીન વિવાદ હવે ભારતમાં એક રાજકીય મુદ્દો બની ગયેલ છે. કેટલાક હિંદુ સંગઠનોના દ્વારા 6 ડિસેમ્બર 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.
ભારતીય જનતા પક્ષ અને વિશ્વ હિંદુ પરિષદ સહિત અન્ય કેટલાક હિંદુ સંગઠનોએ દાવો કર્યો છે કે, ભગવાન રામનો જન્મ બરાબર એ જ જગ્યા એ થયો હતો, જ્યાં બાબરી મસ્જિદ હતી.
આ સાથે જ એવો દાવો કરવામાં આવ્યો કે બાબરી મસ્જિદ એક મંદિરને તોડીને બનાવાઈ હતી.
આપને જણાવી દઇએ કે, બાબરી મસ્જિદ તોડી પડાયા બાદ દેશમાં રમખાણો ફાટી નીકળ્યાં અને કોર્ટમાં આ વિવાદિત જમીનના હસ્તાંતરણની માગ ઉઠાવવામાં આવી. વિવાદિત જમીનની માલિકીના હકનો મામલો સુપ્રીમ કોર્ટમાં 1949થી ચાલી રહ્યો છે.