છોટાઉદેપુર જિલ્લાનાં રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં એક એવી ગુનાઈત ઘટના આકાર લઈ ગઈ કે જેને જાણીને તમે પણ રોષે ભરાઈ જશો. ખડાવડ ગામે લગ્ન પ્રસંગમાં કન્યાવિદાય વેળાએ આ જ ગામનાં એક વ્યક્તિએ ફાયરિંગ કરીને લગ્ન પ્રસંગને માતમમાં ફેરવી દીધો. જાનૈયાઓમાં એવો તો ડર ફેલાઈ ગયો કે કન્યાને લીધાં વગર જ વર સહિત આખી જાન પરત ફરી ગઈ.
હાથમાં મહેંદીનો રંગ હજુ જરા પણ ઝાંખો નથી પડ્યો. કેમ કે આ મહેંદી હજુ કલાકો પહેલાં જ મૂકી હતી. તેને પતિ સાથે સાસરિયે જવાને માત્ર થોડો સમય બાકી હતો. બસ માત્ર કન્યા વિદાયની વિધિ પૂરી થવાંની થોડી જ વાર હતી. ત્યાં તો કોઈએ શું બંદૂકમાંથી શું ફાયરિંગ કર્યુ કે જોતજોતામાં શરણાઈનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો.
જ્યાં મંડપને ચોરી શણગારેલી હતી ત્યાં હવે ફૂલની પાંદડીઓ વેરવિખર થઈ ગઈ છે. ચોરી સૂની થઈ ગઈ છે અને જવતલકુંડી હવે શમી ગઈ છે અને પરિવાર સુન્ન થઈ ગયો છે. તેમને ખબર પણ ન રહી કે આ શું થઈ ગયું.
જે ગરીબનાં ઘરે કલાકો પહેલાં મંડપ શણગારેલો હતો ત્યાં માત્ર એક વ્યક્તિની ભૂલનાં કારણે હવે પોલીસ ગાડીઓ અને હથિયાર ધારી પોલીસે તહેનાત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અને કન્યા પોતાને લેવાં સાસરિયેથી કોઈક તો આવશે તેની રાહ જોઈ રહી છે. આ વેરવિખરે પડેલી ફૂલપાંદડી પાસે અને જવતકૂંડી પાસે ઉભેલાં યુવતીનાં ગરીબ પિતા પોલીસ સામે દિલ થંભાવી દેનારી અને ફજેતી કરનારી ઘટનાની ફેકિયત રજૂ રહ્યાં છે. તેમની આંખો પોલીસને કહી રહી છે કે આખરે તેમની કોઈ ભૂલ ન હતી તો પણ તેમનાં પર આ તે કેવી વીતી?
આખરે એવું તે શું બન્યું કે એક ગરીબ બાપની દીકરીનો કન્યા વિદાયનો પ્રસંગ અઘૂરો રહી ગયો! એવો તો કોણે ડર પેદા કર્યો કે જાનૈયા સહિત વરરાજા કન્યાને મંડપ નીચે મુકીને જ ભાગી જવા મજબૂર થયાં? એવો તો કોણ હતો કે જેણે એક કન્યાનાં ગરીબ મા-બાપનાં અરમાન અને કોડને સામાજિત ફજેતી બનાવી દીધાં તેનો જવાબ શોધવા આપણે રંગપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લેવી પડશે.
છોટા ઉદેપુર જિલ્લાનાં આ રંગપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ સામે મીંદડી બની ઉભેલો શખ્સ એ છે કે જેણે ગઈ કાલે પોતાની એક કરતૂતથી કોડભરી કન્યાનાં ઓરતા પર નિરાશાનાં વાદળો છવાઈ દીધાં. જુવાનસિંહ નામનાં શખ્સે તેણે કન્યાવિદાય વેળાએ કન્યા પાસે આવીને તું કેમ રડે છે તેમ કહ્યું અને પછી પોતાની પાસેની રિવોલ્વરમાંથી આડેધડ ફાયરિંગ કર્યું. જેમાં નજીકમાં ઉભેલી બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ. એ મહિલાઓ હાલમાં વડોદરા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે જેમની સારવાર ચાલી રહી છે.
કન્યા વિદાયવેળાએ એકાએક ફાયરિંગ થતાં સગાં વ્હાલાઓ અને જાનૈયાઓ ગભરાઈ ગયાં હતાં. આખરે મામલો વધારે કથળે તે પહેલાં જાનૈયાઓ અને વરરાજાએ હાલ તો કન્યાને લીધાં વગર જ જાન પરત લઈ જવાનું યોગ્ય માન્યું અને તેમ જ થયું પરણવા આવેલી જાન કન્યાને લીધાં વગર જ પરત ફરી જો કે કન્યાને આશા છે કે પતિનાં ઘરવાળાઓ તેને તેડવા જરૂર પાછા આવશે.
કન્યાનાં પિતાએ પુત્રીને સાસરિયે વળાવા તમામ તૈયારી પૂર્ણ કરી લીધી હતી. ધામધૂમપૂર્વક લગ્ન પણ સંપન્ન થઈ ગયાં હતાં અને ભોજન સમારંભ પણ યોજાઈ ગયો હતો. ઘરમાં પડેલી આ મીઠાઈ અને તેની આજુબાજુ કરિયાવરરૂપે આપવા મૂકેલી આ ચીજવસ્તુઓ જોઇને જ ખ્યાલ આવી જાય કે કેવો હરખ હશે એ પિતાને અને તેનાં પરિવારજનોને અને કેવાં અરમાન હશે એ કન્યાને. પરંતુ કેટલાંક અસમાજિક તત્વો જ્યારે કાયદાની ઐસીતૈસી કરીને ગરીબોનાં પ્રસંગને જાહેરમાં ફજેતી બનાવી દે છે ત્યારે આ બિહાર છે કે ગુજરાત તે ખબર નથી પડતી. આવાં તત્વોને સખત સજા મળવી જોઈએ તેવી માંગણી આ પરિવારની છે.