ગુજરાતમાં કોરોના બાદ બીજી મહામારી જાહેર કરાયેલી બીમારી મ્યુકર્માઈકોસિસ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, તેની દવાની અછત ટુંક સમયમાં જ દુર કરાશે
મ્યુકર્માઇકોસિસના વધતા કહેર વચ્ચે મળ્યા રાહતના સમાચાર
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી જાણકારી
અંદાજે 3 દિવસની અંદર જ મ્યુકર્માઇકોસિસની દવાની અછત દૂર કરાશે
મ્યુકર્માઇકોસિસના વધતા કહેર વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. મ્યુકર્માઇકોસિસની દવાની અછત ટુંક સમયમાં જ દુર કરવાનો દાવો કર્યો છે. અંદાજે 3 દિવસની અંદર જ મ્યુકર્માઇકોસિસની દવાની અછત દૂર કરાશે. Tweet કરીને જણાવ્યું કે, દવા બનાવતી વધુ 5 કંપનીઓને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે. જે કંપનીઓ દવા બનાવે છે તેઓ ઉત્પાદન વધારી રહ્યાં છે. ભારતની કંપનીઓએ એમ્ફોટેરિસીન-Bના 6 લાખ વાઇલને આયાત કરવાનો ઓર્ડર પણ આપ્યો છે. હવેથી દેશમાં કુલ 11 કંપનીઓ એમ્ફોટેરિસીન-Bનું ઉત્પાદન કરશે. એમ્ફોટેરિસીન-B મ્યુકર્માઇકોસિસના સારવાર માટે ઉપયોગી છે.
ગુજરાતમાં મ્યુકર્માઈકોસિસને મહામારી જાહેર કરાઇ છે. CMની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો, રોગચાળા અંગે બેઠકમાં વિચારણા હાથ ધરવામાં આવી હતી. એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે મહામારી જાહેર કરવામાં આવી છે.
જવલ્લે જ જોવા મળતો મ્યુકર્માઇકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકર્માઇકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.
હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકર્માઇકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.