લગભગ ત્રણ દાયકા સુધી સંસદના ઉચ્ચ ગૃહ રાજ્યસભાના સભ્ય રહેલા પૂર્વ વડાપ્રધાન ડૉ મનમોહન સિંહે ફરી ગૃહમાં પહોંચવા કોંગ્રેસ ઉમેદવાર તરીકે મંગળવારે રાજસ્થાનથી નામાંકન પત્ર ભર્યું છે. રાજધાની જયપુર પહોંચ્યા બાદ પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ અને ઉપમુખ્યમંત્રી સચિન પાઇલોટે તેમનું સ્વાગત કર્યું.
કુલ 200 સભ્યોવાળી રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસ પાસે 100 ધારાસભ્યો છે. આ ઉપરાંત તેમની પાસે 12 અપક્ષ અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના 6 ધારાસભ્યોનું સમર્થન છે. તેથી ડૉ મનમોહનનું રાજ્યસભાના સભ્ય બનવું નિશ્ચિત છે. બીજી તરફ, રાજ્યના પ્રમુખ વિપક્ષી દળ ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે માત્ર 73 ધારાસભ્યો છે. તેથી એમણે હજુ સુધી કોઇ ઉમેદવારની જાહેરાત કરી નથી.
બીજેપીના પ્રદેશ એકમના અધ્યક્ષ મદનલાલ સૈનીનું નિધન થઇ ગયા બાદ આ બેઠક ખાલી પડી હતી. આથી રાજ્યસભાની બેઠક માટે પેટા ચૂંટણી જરૂરી બની હતી. આ પહેલા આ વર્ષે રાજ્યસભા ચૂટણીઓમાં કોંગ્રેસ મનમોહન સિંહ માટે બેઠક ફાળવી શકી નહોતી.
આ પહેલી વાર છે કે જ્યારે 27-28 વર્ષોમાં મનમોહન સિંહ સંસદમાં નહોતા. અર્થશાસ્રી મનમોહન સિંહની સંસદમાં હાજરી વિપક્ષમાં બેઠેલ કોંગ્રેસને મજબૂતી આપશે. આ પહેલા જ્યારે કોંગ્રેસ મનમોહન સિંહ માટે કોઇ બેઠક નિશ્ચિત નહોતી કરી શકી તો લોકો તેને મનમોહન સિંહનું રિટાયર માની રહ્યા હતા.