ગુજરાત અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનો રાજકીય ખેલ બગાડનાર ભાજપનું મણિપુરનું રાજકીય સમીકરણ બગડી ગયું છે. મણિપુરમાં ભાજપના નેતૃત્વવાળી સરકારના ઉપ મુખ્યમંત્રી વાઇ જૉય કુમાર સિંહ સહિત કુલ 9 ધારાસભ્યોએ ભાજપને રામ-રામ કહી દીધું છે. કોંગ્રેસના રિવર્સ ઓપરેશન લોટસથી ભાજપને મણિપુરની સત્તા ગુમાવવાની સાથે-સાથે શુક્રવારે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં પણ પરાજયનો સ્વાદ ચાખવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.
મણિપુરમાં સત્તાનું રાજકીય સમીકરણ બગડ્યું
એક રાજ્યસભાની બેઠક પર ભાજપનું બગડયું ગણિત
ઉલ્લેખનીય છે કે 2017ના પરિણામ બાદ મણિપુરમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સામે આવી હતી. 28 ધારાસભ્યોની સાથે કોંગ્રેસ નંબર 1 પાર્ટી બનીને આવી હતી, જ્યારે ભાજપના 21 ધારાસભ્યો જીતીને આવ્યાં હતા. પરંતુ ભાજપે બધા ગેર કોંગ્રેસી ધારાસભ્યોને પોતાની તરફ લઇને સરકાર બનાવી લીધી હતી.
ભાજપે નગા પીપૂલ્સ ફ્રંટના 4, એનપીપીનાં 4, ટીએમસીના 1, એલજેપીના 1 અને એક અપક્ષ ધારાસભ્ય સાથે સરકાર બનાવી હતી. ભાજપે સત્તાની કમાન એન બીરેન સિંહને સોંપી હતી. ભાજપે એનપીપીના ચારેય ધારાસભ્યોને મંત્રી બનાવ્યાં હતા. જેમાં વાઇ જૉય કુમાર સિંહને ઉપ મુખ્યમંત્રી તેમજ નાણામંત્રીની જવાબદારી સોંપી હતી.
રાજ્યસભાની ચૂંટણીનું બગડયું સમીકરણ
મણિપુરની એક રાજ્યસભા બેઠક પર 19 જુનના રોજ ચૂંટણી યોજાવા જઇ રહી છે. એક રાજ્યસભાની બેઠક પર ત્રણ ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. જેમાં ભાજપમાંથી તિતુલર કિંગ મહારાજા સંજાઓબા લિસીમ્બા, કોંગ્રેસમાંથી પૂર્વ મંત્રી ટોંગબમ મંગિબાબૂ અને નગા પીપુલ્સ ફ્રંટમાંથી હોનરીકુઇ કાશુંગ વચ્ચે મુકાબલો છે. મતદાનના એક દિવસ પહેલ કોંગ્રેસ મણિપુરમાં ભાજપનું સમીકરણ બગાડી નાંખ્યું છે. એનપીપીની સાથે ભાજપમાં પણ ગાબડુ પાડવામાં કોંગ્રેસ સફળ રહી છે. આ સાથે સરકારની સાથે-સાથે રાજ્યસભાની ચૂંટણીનું ગણિત પણ બગડતું જોવા મળી રહ્યું છે.
કોંગ્રેસ પાસે હાલમાં 20 ધારાસભ્યો સાથે એનપીપીના ચાર, એક ટીએમસી અને એક અપક્ષ સાથે ભાજપના બે ધારાસભ્યોની સંખ્યા જોડી લઇએ તો 28 પહોંચે છે. જ્યારે ભાજપના 18, નગા પીપુલ્સ ફ્રંટના 4 ધારાસભ્ય અને લોજપાના એક ધારાસભ્ય બિરેન સિંહની સાથે છે. આ રીતે ભાજપના સમર્થક ધારાસભ્યોની કુલ સંખ્યા 23 પર પહોંચે છે. આમ મણિપુરમાં સત્તાનો સંગ્રામ ઘણો રોમાંચક જોવા મળી રહ્યો છે.
ગર્વનર પર સૌની નજર
રાજ્યમાં રાજકીય પરિસ્થિતિને લઇને કોંગ્રેસ આજે સરકાર બનાવાનો દાવો રજૂ કરી શકે છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ ઓકરામ ઇબોબી સિંહના નેતૃત્વમાં સરકાર બનવાનો દાવો રજૂ કરી શકે છે. આમ હવે રાજ્યમાં રાજકીય સંકટ વચ્ચે બધાની નજર રાજ્યના રાજ્યપાલ નઝમા હેપતુલ્લાહ પર છે. આમ હવે જોવાનું એ છે કે રાજ્યપાલ હવે રાષ્ટપતિ શાસન લગાવાની ભલામણ કરે છે કે કોંગ્રેસને સરકાર બનાવા માટે બોલાવે છે.