એક સદી પહેલા આજના દિવસે 1913 માં અંગ્રેજોએ 1500 થી વધુ આદિવાસીઓને ગોળીઓથી વીંધી નાખ્યા હતા તેમની યાદમાં આદિવાસી ઉજવે છે બલિદાન દિવસ. હજારો આદિવાસી અહી આપે છે શ્રધ્ધાંજલિ.
17 નવે. આજે માનગઢ હત્યાકાંડ;બલિદાન દિવસ
અંગેજોએ 1500 આદિવાસીઓનો કત્લે આમ કર્યો
'સંપ સભાની સ્થાપના,ગોવિદ ગુરુએ જગાવ્યો આહલેક
આઝાદીના ઇતિહાસમાં હત્યાકાંડની વાત આવે તો ઈતિહાસ સાથે સાધારણ પરિચય ઘરાવનારની જીભ પર ‘જલિયાંવાલા બાગ હત્યાકાંડ’ (અમૃતસર 1919) વગેરે નામો આવી જાય. પરંતુ આપણા ગુજરાતના સીમાડા પર ઈ.સ. 1913મા સર્જાયેલ ‘માનગઢ હત્યાકાંડ’ વિશે કેટલા ગુજરાતીઓ જાણતા હશે ? આજે 17 નવેમ્બર છે ત્યારે એક સદી પહેલા આજ દિવસે 1913 માં અંગ્રેજોએ 1500 થી વધુ આદિવાસીઓને ગોળીઓથી વીંધી નાખ્યા હતા તેમની યાદમાં આજે આદિવાસી બલિદાન દિવસ તરીકે ઉજવાય છે જેની લઈને હજારો આદિવાસી અનુઆયીઓ અહી આવી તેમને શ્રધ્ધાંજલિ આપે છે
માનગઢ ; ઇતિહાસની અટારીથી
ભારતમાં અંગ્રેજી હકુમત દરમ્યાન 1919માં અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકત્રિત થયેલા લોકો પર જનરલ ડાયરે ધડાધડ ગોળીઓ ચલાવીને આશરે 300 જેટલા લોકોની લાશો ઢાળી દીધી હતી. ઇતિહાસમાં આ બનાવ ખૂબ જ જાણીતો છે. આવો જ એક બનાવ ગુજરાતના મહીસાગર જીલ્લાના સંતરામપુર શહેરની નજીક આવેલી માનગઢની ટેકરીઓ ખાતે બન્યો હતો. પણ આ બનાવ ઇતિહાસનાં પૃષ્ઠો પર કદાચ નોંધાયો નથી માનગઢની ટેકરીઓ પર આજે પણ જાઓ તો ટેકરીની આસપાસ, ખીણોની ભીતરમાં, કાળમીંઢ પત્થરોના પેટાળમાં ધરબાઈ ગયેલા ઈતિહાસના આક્રંદનો અહેસાસ કરી શકશો. પ્રકૃતિપૂજકોની હ્રદયદ્વાવક ચીસો અને કિકીયારીઓ સાથેનું આક્રંદ ત્યાંના હવાના સુસવાટામાં પડઘાતું લાગે જો કે માનગઢની ટેકરીઓ પર લોહીથી તરબતર થનારું એ પ્રકરણ તો લોહીભીનું જ સંકેલાઈ ગયું હતું.
'સંપ સભા' સ્થાપના અને ઉદ્દેશ
માનગઢ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનું એક હિલ સ્ટેશન છે. પરંતુ હાલ ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લામાં આવેલું હિલ સ્ટેશન ગણાય છે અહીં મધ્યપ્રદેશ અને ગુજરાતની સીમાઓ પણ જોવા મળે છે. આ સમગ્ર વિસ્તારમાં આદિવાસીઓ વસે છે. મુખ્યત્વે મહારાણા પ્રતાપના લડવૈયાઓ એટલે કે ભીલ જાતિના લોકો અહીં રહે છે. સ્થાનિક સામંતો, રાજકુમારો અને અંગ્રેજોએ તેમની નિરક્ષરતા, સરળતા અને ગરીબીનો લાભ લઈને તેમનું શોષણ કર્યું. તેમનામાં ફેલાયેલી બુરાઈઓ અને અંધ પરંપરાઓને નાબૂદ કરવા માટે, ગોવિંદ ગુરુના નેતૃત્વમાં એક મોટી સામાજિક અને આધ્યાત્મિક ચળવળનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને 'ભગત આંદોલન' કહેવામાં આવે છે અહીંની ગામડાની અભણ આદિવાસી પ્રજામાં ગોવિંદ ગુરુ નામે એક નેતા થઇ ગયા. ગુરુ ગોવિંદ - ગુજરાત અને દેશવાસીઓના દુર્ભાગ્યે એટલું જાણીતું નામ નથી. તેમનો જન્મ 1858માં ડુંગરપુર ખાતે થયો હતો. જે તે સમય દરમ્યાન દુષ્કાળમાં મૃત્યુ પામેલા ભીલોની દુર્દશા જોઇ તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેમણે સમાજસેવા કરવાનું નકકી કરી ધાર્મિક ઉપદેશ આપવાની શરૂઆત કરી. તેમણે 1903માં ‘સંપ સભા’ નામે એક સંગઠન ઉભુ કર્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ અહીંની પ્રજાને એકતા, વ્યસન નાબૂદી, શિક્ષણ, સદાચાર, ગુનાથી દૂર રહેવું વગેરે માટે જાગૃત કરવાનો હતો. ‘સંપ સભા’ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને સ્વતંત્રતા પ્રાપ્તિ માટે પણ કાર્ય કરતી હતી. આ બાબત અંગ્રેજ સત્તાના ધ્યાનમાં આવી. સંપ સભાની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર માનગઢની ટેકરી હતું.
અંગેજોએ ઘેરો ઘાલી,કર્યો અધાધૂંધ ગોળીબાર
1912-13 માં આદિવાસી સંત ગોવિંદગુરૂના નેતૃત્વમાં માનગઢના ડુંગર ઉપર આદિવાસીઓએ અંગ્રેજો સામે જંગ છેડેલો દરમ્યાન 17 નવેમ્બર 1913ના રોજ આ સંપ સભાના ભક્તો એકઠા મળ્યા હતા ત્યારે અંગ્રેજ કર્નલ શટને માનગઢ પહાડીઓને ઘેરી લઇ, તોપો અને મશીનગનથી હુમલો કરી સંખ્યાબંધ આદિવાસી ભક્તોને મારી નાખ્યા. આ દિવસે ગરુ ગોવિંદ સિંહ આદિવાસી અનુયાયીઓની ધર્મસભા ભરી તેમને ધાર્મિકતાનો ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે અંગ્રેજોના પોલિટિકલ એજન્ટે દેશી રજવાડાંઓનો સાથ લઈ માનગઢ ડુંગરને ચારે તરફથી ઘેરો ઘાલ્યો અને અંધાધૂંધ ગોળીબાર તથા તોપમારો કરી 1507 જેટલા અબુધ આદિવાસીઓને ચિર નિદ્રામાં પોઢાડી દીધા 1507 નો આંકડો તો અંગ્રેજોએ નોંધેલો છે પણ એનાથી પણ વધુ આદિવાસીઓની હત્યા કરી શહીદ કર્યા હતા
ગોવિંદ ગુરુની જ્યોત ; શ્રદ્ધાનો પર્યાય
લગભગ 108 વર્ષ પૂર્વે અહીં સર્જાયેલી આ આઝાદીના આંદોલનના રક્તરંજિત પ્રકરણ સમાન ‘માનગઢ માનવ હત્યાકાંડ’ ની કરુણગાથા પાષણ હૃદયના માનવીને પણ કંપાવી દે તેવી હતી ગોવિંદ ગુરુ જીવતા પકડાયા. તેમને અંગ્રેજોએ વર્ષો સુધી જેલમાં પૂરી રાખ્યા. માનગઢ ઉપર આવેલ હોલમાં જ ગોવિંદ ગુરુની સમાધિ છે. સૌ પ્રથમ ‘અમર જ્યોતિ સ્તંભ’ . હોલની દિવાલો પર આરસની તકતીઓ લગાડેલી છે અને એમાં ગોવિંદ ગુરુના જન્મથી માંડીને ‘સંપ સભા’ની પ્રવૃતિઓ તથા અંગ્રેજોએ કરેલ સંહારની કથા વિગતે લખેલી છે. એ વાંચીને એમ થાય કે આપણા દેશભક્તો પર એક વિદેશી પ્રજાએ કેવી ક્રૂરતા આચરી હતી ! આ હોલમાં એક બાજુ ગોવિંદ ગુરુની સમાધિ પર ભક્તો ધૂપ સળગાવે છે, ફૂલો ચડાવે છે અને ભજન કીર્તન કરે છે. આજુબાજુનાં ગામડાંમાંથી કેટલા યે ભક્ત લોકો અહીં સમાધિનાં દર્શને આવે છે. અમે પણ અહીં બે મિનિટ ભાવપૂર્વક ઉભા રહીને એક દેશભક્ત વીર પૂરુષને મનોમન વંદન કર્યાં. હોલની બહાર ગોવિંદ ગુરુનું સ્ટેચ્યુ મૂકેલું છે. ગોધરા યુનિવર્સિટીને આ વીર શહીદ સંતનું નામ અપાય તે કોઈ પણ ઇતિહાસપ્રેમીને માટે ખુશ થવા જેવી વાત ગણાય.
આદિવાસીઓ પરની સંહાર લીલા
આ ઘટના જલિયાંવાલા બાગથીયે વધુ બર્બર હતી. શહીદોની યાદમાં, માનગઢ હીલ આજે પણ ગુજરાત અને રાજસ્થાનના ગ્રામ્ય લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં ગોવિંદગુરુની સમાધિ બનાવવામાં આવી છે. આ જગ્યાએ એક ‘અમર જ્યોતિ સ્તંભ’ ઉભો કરવામાં આવ્યો છે. આ જગ્યાને ‘ગોવિંદ ગુરુ સ્મૃતિવન’ નામ આપવામાં આવ્યું છે. 1 વર્ષના આઝાદી જંગના ઇતિહાસમાં આવી અનેક વતન પરસ્તીની શૌર્યગાથાઓની ઘટના હજુ પણ વણસ્પર્શી રહી ગઇ છે. કહેવાય છે કે ગોવિંદગુરુ અને તેમના ભગત સંપ્રદાયે ભીલોમાં નવજીવનનો સંચાર કર્યો, આત્મ સન્માનની ભાવના જગાડી. અન્યાય સામે લડવાની પ્રતિકાર શક્તિ પૂરી પાડી. ગુરુનાં ઉપદેશોની બુનિયાદ ઉપર ભગત ભીલોએ માંસાહાર, દારૂ, લૂંટફાટ વગેરેનો ત્યાગ કરી વેઠપ્રથા કરવાની પણ સ્થાપિત હિતોને ઘસીને ના પાડવાની હિંમત કેળવી. આ સ્થિતિ સંતરામપુર, વાંસવાડા, ડુંગરપુરનાં રાજ્યો, દારૂનાં ઠેકેદારો અને બ્રિટિશ સત્તા માટે ખતરનાક સાબિત થઈ હતી. કારણ કે બ્રિટિશ રાજમાં જેટલી નિશાળો ન હતી એના કરતાં વધુ દારૂનાં પીઠાંઓ હતાં અને સરકારી મહેસૂલનો મોટો હિસ્સો દારૂ પરની આવકમાંથી પ્રાપ્ત કરાતો હતો. દારૂનાં ઠેકેદારોના સૌથી મોટા ગ્રાહકો આદિવાસીઓ હતાં જેથી આ નર સંહાર કરવામાં આવ્યો.
રક્તરંજિત ઈતિહાસ માનગઢની ટેકરીમાં જ ધરબાયો
દર વરસે 9 મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતના આદિવાસીઓ આ દિવસને દિવાળીની જેમ ઉજવે છે. આ દિવસે દરેક જિલ્લામાંથી અંદાજે 5 લાખ આદિવાસીઓ સંતરામપુર પાસે આવેલ ઐતિહાસિક માનગઢ પહાડી ખાતે ભેગા થાય છે. આદિવાસી સમાજના કાર્યકરોન મહેનત અને લડાઈ ના કારણે આ માનગઢ ને હવે તેની અસલ ઓળખ દેશના નાગરીકો સુધી પહોચતી થઇ છે નહિ તો ઈતિહાસકારોએ પણ આ માનગઢના ઈતિહાસને અછુતો રાખ્યો હતો અને તેનું અમને આદિવાસી લોકોને દુખ થાય છે. એટલું જ નહી ભીલોની શહાદતના લોહીભીના પ્રકરણને માનગઢની ટેકરી પર જ ધરબી દેવાયું. સમકાલીન નેતાઓનું નેતૃત્વ અને પીઠબળ પણ આ કમનસીબોને નસીબ ન થયું. તેથી ભીલરાજની ભગત ચળવળ ન તો દેશભણી બની, ન તો ઈતિહાસના પન્નાઓમાં અંકિત થઈ. હાલ તો સદીથી પણ વધું સમય થઈ ગયો છે. માનગઢની ટેકરી પર ગુરુ ગોવિંદગરની યાદમાં ભીલોએ મંદિર બનાવ્યું છે. જ્યાં દર વર્ષે કારતક સુદ પુનમે મેળો ભરાય છે ત્યારે અહિના પ્રકૃતિપૂજકો શહીદોની શહાદતને વાગોળે છે. ગુરુ ગોવિંદગરની ભગત ચળવળની વિસરાય ગયેલી વસમી યાદો પ્રકૃતિપૂજકોની દંતકથાઓમાં, તેમના ધાર્મિક સાહિત્યોમાં અને માનગઢની વેરાન ટેકરીઓમાં સચવાઈ છે.
માનગઢ- આદિવાસીઓની આસ્થાનો સેતુ
તત્કાલ સમય માં ગોવિંદ ગુરુએ સરકારને પત્ર લખીને દુકાળથી પીડાતા વનવાસીઓને કૃષિ પરલાદવામાં આવતો કર ઓછો કરવા તેમને ધાર્મિક પરંપરાઓનું પાલન કરવા અને તેમને બળજબરીથી મજૂરીના નામે પરેશાન ન કરવા વિનંતી કરી હતી પરંતુ વહીવટીતંત્રે ટેકરીને ઘેરી લીધી અને મશીનગન અને આર્ટિલરી લગાવી આ પછી તેણે ગોવિંદ ગુરુને તાત્કાલિક માનગઢ ટેકરી છોડવાનો આદેશ આપ્યો ત્યાં સુધીમાં લાખો ભગત ત્યાં આવી ગયા હતા કર્નલ શેટોનના નેતૃત્વમાં પોલીસે ગોળીબાર કર્યો જેમાં હજારો લોકો માર્યા ગયા તેમની સંખ્યા 1507 સુધી હોવાનું કહેવાય છે ત્યાર બાદ પોલીસે ગોવિંદ ગુરુની ધરપકડ કરી અને તેને મૃત્યુદંડ અને પછી આજીવન કેદની સજા ફટકારી 1923 માં જેલમાંથી છૂટ્યા બાદ, તેમણે ભીલ સેવા સદન, ઝાલોદ દ્વારા જાહેર સેવાના વિવિધ કાર્યો કરવાનું ચાલુ રાખ્યું 30 ઓક્ટોબર 1931ના રોજ કંબોઈ (ગુજરાત) ગામમાં તેમનું અવસાન થયું માર્ગશીર્ષ પૂર્ણિમા પર તેમજ આજે બલિદાન દિવસે દર વર્ષે લાખો લોકો તેમની બાંધેલી સમાધિ તેમજ માનગઢ શહીદ સ્મારક સ્મારકે આવીને તેમને શ્રદ્ધાંજલિ આપે છે.