ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ આરોપીઑમાંથી પોલીસનો ડર ઓસરી રહ્યો છે. ચોરી, લૂંટ, માથાકૂટ, હત્યા સહીતની ઘટના હવે સામાન્ય અને રોજિંદી બની ગઈ હોય તેમ સામે આવી રહી છે. તેવામાં જેસર નજીક ઉગલવાણ ગામે સગા મામા એ જ ચારિત્ર્ય પર શંકા કરીને ભાણેજને મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી જવા પામી છે. બીજી તરફ ભાવનગરમા 2 શખ્સોએ એક રત્ન કલાકારની હત્યા કરી નાખતા ભાવનગરમાં છેલ્લા 24 કલાકમાં હત્યાના બે બનાવ બન્યા છે. આથી પોલીસ દોડતી થઇ છે.
બોર તળાવ વિસ્તારમાં રત્ન કલાકારની હત્યા
ભાવનગરના ઉગલવાણ ગામે મોડી રાત્રે ચારિત્ર્ય પર શંકા રાખી મામાએ ગામમા સંજય રાઠોડ પર જીવલેણ હુમલો કર્યો હતો. આથી તેને પ્રથમ સારવાર અર્થે મહુવા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં વધુ સારવારની જરૂર જણાતા મહુવા હોસ્પિટલથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા. આ દરમિયાન ભાવનગર પહોંચતા રસ્તામાં કાળ આંબી જતા તેનું મોત નિપજ્યું હતું. આથી તેની ડેડ બોડી પીએમ અર્થે મહુવા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સંજય ઉપર હુમલો કરનાર શખ્સોમાં તેમના સગા મામા તેમજ અન્ય 2 વ્યક્તિ સહિત 3 સામે ગુન્હો નોંધી વધુ તપાસ ખુટવડા પોલીસ ચલાવી રહ્યા છે.
ASP સફિન હસન હોસ્પિટલ ખાતે દોડી ગયા
હત્યાની વધુ એક ઘટના ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારમાં સામે આવી છે. જેમાં સીતારામ ગલ્લા સામે બાઈક અથડાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થઇ હતી. ત્યારબાદ યુવક પર હથિયાર વડે હુમલો કરી હત્યા કરી નાખવામાં આવી હતી. જે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ગોગલા ગામના વતની હર્ષદભાઈ ઠાકરસીભાઈ જાપડીયા નામના રત્નકલાકારની હત્યા કરી નાખવામાં આવી હતી. આ બનાવના પગલે બોર તળાવ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી રહી હતી. બનાવ બાદ ભાવનગરના ASP સફિન હસન હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જો કે હત્યા અંગેનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.