હાલ કોરોનાને ડામવા માટે દેશમાં તમામ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. તો મોટા ઉદ્યોગકારો સરકારની અને ગરીબ જનતાની મદદ માટે આગળ પણ આવી રહ્યા છે. કરોડોનું દાન પણ કરી રહ્યા છે. તેવામાં ગુજરાતનો એક એવો કિસ્સો સામે આવ્યો છે. જે ગર્વ અપાવનારો છે. કારણ કે, એક ગામના સરપંચે પોતાના ગામના જરૂરિયાતમંદોને મદદ પુરી પાડવા માટે પોતાના ઘરના દાગીના ગીરવે મુકી લાખો રૂપિયાની સહાય પુરી પાડી છે. ત્યારે જાણો આ દાનવીર સરપંચની દાતારી વિશે...
કોરોના સામે સરપંચની જંગ
લોકોને બચાવવા મુક્યા દાગીના ગીરવે
9.50 લાખ રૂપિયાની ગામને કરી સહાય
હાલ લોકડાઉનના કારણે લોકોના રોજગાર ધંધા પડી ભાંગ્યા છે. લોકો પોતાના ઘરમાં પુરાઈને બેઠા છે. તેવમાં મહુવા તાલુકાના તાવેડા ગામના દાનવીર સરપંચ દાનુંભાઈ આહીર જરૂરિયાતમંદોની વ્હારે આવ્યા છે. આ લોકડાઉનના સમયે પોતાના ગામનો એકપણ વ્યક્તિ ભૂખ્યો ન સુવે તે માટે કોઈએ વિચાર્યું પણ નહોંતુ તેવું કામ ગામના સરપંચ દાનુભાઈએ કરી બતાવ્યું છે.
તેમણે આ મુશ્કેલીના સમયે પોતાના ઘરમાં રહેલા તમામ દાગીના બેંકમાં ગીરવે મુકી તેમાંથી મળેલા 9 લાખને 50 હજાર રૂપિયા પોતાના ગામ લોકોની મદદ માટે ન્યોછાવર કરી દીધા. એટલું જ નહીં ખુદ ઘરે ઘરે જઈને કોઈને 3 હજાર તો કોઈને 5 હજાર રૂપિયાની સહાય પુરી પાડી છે. સાથે કોઈ ભૂખ્યા ન સુવે તે માટે પણ પગલા ઉઠાવ્યા છે. તો ગામને કોરોનાથી બચાવવા સંપૂર્ણ લોક લગાવી લીધો છે.
એમણે મને સરપંચ બનાવ્યો તો મારી ફરજ બનેઃ દાનુંભાઈ
આ અંગે ખુદ ગામના સરપંચે પોતાની લાગણી જણાવી હતી. તેમણે કહ્યું કે, મારા ગામમાં 50 ટકા લોકો મજૂરવર્ગ છે. તેમણે મને સરપંચ બનાવ્યો છે તો મારી ફરજ પણ બને છે. તેથી હું રાત્રીના 2 વાગ્યા સુધી વિચાર કરતો હતો અને સવારે જાગીને મે મારી વીંટીઓ, દોરા સહિતના સોનાના દાગીના બેંકમાં મુકી દીધા. અને જે પૈસા આવ્યા તે મે નાના-ગરીબ ગામના લોકોને વહેંચી દીધા છે. કોઇ નાનો માણસ ભુખ્યો ન રહેવો જોઇએ.
આપણે ત્યાં કહેવાય છે કે, જ્યારે જ્યારે ધર્મને કે સમાજને બચાવવાની વાત આવે ત્યારે વ્યક્તિ પોતાની હેસિયતને નથી જોતો. દાન કે મદદ કરવાની વાત આવે ત્યારે ઉદ્યોગપતિ હોવું પણ જરૂરી નથી. દાનુંભાઈએ તો આજે એ કરી બતાવ્યું છે જે ક્યારેય કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ભલે તે ઉદ્યોગપતિ તો નથી પરંતુ તેણે ઉદ્યોગપતિથી પણ મોટું કાર્ય કર્યું છે. જેને VTV આવકારે છે.