મહારાષ્ટ્રની રાજનીતિનો આજે ઐતિહાસિક દિવસ છે. મહારાષ્ટ્રમાં પહેલી વખત ઠાકરે પરિવારમાંથી કોઈ મુખ્યપ્રધાન બનવા જઈ રહ્યું છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે સાંજના ૬.૪૦ વાગ્યે મુંબઈના શિવાજી પાર્કમાં ભવ્ય સમારોહમાં શપથ લેશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરેની સાથે શિવસેના-એનસીપી અને કોંગ્રેસ ત્રણેય પક્ષના બે-બે નેતા પણ શપથ લઈ શકે છે. બીજી તરફ એનસીપીના વરિષ્ઠ નેતા જયંત પાટીલ, છગન ભુજબળ અથવા અજિત પવાર પણ શપથ લઈ શકે છે.
અજિત પવાર બની શકે છે નાયબ મુખ્યપ્રધાનપદ
કોંગ્રેસના ભાગે વિધાનસભાનું સ્પીકરપદ આવશે
શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મેરેથોન બેઠક બાદ એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે ગઈ કાલે રાત્રે જણાવ્યું હતું કે ત્રણેય પક્ષ વચ્ચે નક્કી થયેલી અંતિમ ફોર્મ્યુલા પ્રમાણે મહારાષ્ટ્ર સરકારમાં એનસીપીને નાયબ મુખ્યપ્રધાનપદ મળશે. કોંગ્રેસને વિધાનસભા અધ્યક્ષનું પદ મળશે, જ્યારે એનસીઆરપીને વિધાનસભા ઉપાધ્યક્ષનું પદ અપાશે. પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે આજે સાંજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના મુખ્યપ્રધાનપદના શપથ લેવાની સાથે ત્રણેય પક્ષમાંથી એક કે બે સભ્ય પ્રધાનપદના શપથ લેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેના તરફથી સુભાષ દેસાઈ અને એકનાથ શિંદે, એનસીપીના જયંત પાટીલ, છગન ભુજબળ કે અજિત પવાર અને કોંગ્રેસના બાળાસાહેબ થોરાટ તથા અશોક ચવ્હાણ પણ આજે શપથગ્રહણ કરે તેવી શક્યતા છે.
એનસીપીનાં સૂત્રોનો દાવો છે કે શરદ પવારના ભત્રીજા અજિત પવાર અથવા વરિષ્ઠ નેતા જયંત પાટીલને નાયબ મુખ્યપ્રધાનપદ મળે તેવી પ્રબળ સંભાવના છે. હકીકતમાં અજિત મોટું અને મહત્ત્વનું પદ ન મળવાના કારણે જ નારાજ હતા અને તેમણે ભાજપ સાથે મળીને સરકાર રચવાની કોશિશ કરી હતી. એનસીપી અને પવાર અજિતને ફરીથી નારાજ કરવાના પક્ષમાં નથી. આવા સંજોગોમાં તેમને ડેપ્યુટી સીએમપદ મળે તેની શક્યતા વધારે છે. જો અજિતને નાયબ મુખ્યપ્રધાન બનાવાશે તો જયંત પાટીલને પણ મહત્વનું ખાતું સોંપાશે તે નક્કી છે.
મુંબઈના શિવાજી પાર્કમાં 'શનિવાર વાડા'ની તર્જ પર ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે. શપથગ્રહણની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે 'શનિવાર વાડા' પુણેમાં આવેલું છે અને આ એ જગ્યા છે, જ્યાં પેશ્વાઓનું શાસન ચાલતું હતું. શિવસેના દ્વારા શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જોકે તેમના આગમનની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આદિત્ય ઠાકરે ખુદ ગઈ કાલે રાતે દિલ્હી પહોંચ્યા હતા અને તેમને આમંત્રણ આપ્યું હતું. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીને પણ આમંત્રણ અપાયું છે, પરંતુ તેઓ આવશે કે નહીં તે હજુ નક્કી નથી.
દરમિયાન આજે વહેલી સવારે બારામતી, ધુલે અને સોલાપુરના ખેડૂતો અજિત પવારના નિવાસસ્થાનની બહાર આવી પહોંચ્યા છે. આ ખેડૂતોની માગ છે કે અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે. જો તેમની માગણી પૂરી નહીં થાય તો તેઓ ધરણાં પર બેસશે એવી ચીમકી પણ તેમણે
ઉચ્ચારી છે.