ભારતીય જનતા પાર્ટી અને શિવસેના મળીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડી રહી છે. નામાંકન સમયે બંને પાર્ટીઓ વચ્ચે ટિકિટોની વહેંચણી પર સહમતિ બની ગઇ હતી. પરંતુ કેટલીક બેઠકો એવી છે જ્યાં શિવસેના ખુદને ગઠબંધન ધર્મથી ઉપર રાખે છે અને બીજેપીના ખાતાની બેઠકો પર પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.
મહારાષ્ટ્રની કંકાવલી અને માણ બેઠકો પર બીજેપી -શિવસેના ઉમેદવારોની થશે ટક્કર
BJPએ જાણી જોઇને પહેલી બે લિસ્ટમાં કંકાવલીના ઉમેદવારનું નામ જાહેર ન કર્યું
કંકાવલી અને માણ બે એવી વિધાનસભા બેઠકો છે જ્યાં શિવસેનાએ બીજેપીના ઉમેદવાર હોવા છતા પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. કંકાવલી બેઠકથી બીજેપીએ પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેને ટિકિટ આપી છે, જ્યારે માણથી જયકુમાર ગોરેને મેદાન પર ઉતાર્યા છે. આ બંને નેતાઓ 2014ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા અને હાલ બીજેપીમાં સામેલ થયા છે.
આ છે વિરોધનું કારણ
કંકાવલી બેઠકથી બીજેપી ઉમેદવાર નિતેશ રાણેના વિરોધ પાછળ જુની અદાવત માનવામાં આવે છે. નિતેશ રાણેના પિતા નારાયણ રાણે પહેલા શિવસેનામાં હતા. પરંતુ 2005માં તે શિવસેનાનો સાથ છોડીને કોંગ્રેસની સાથે ચાલ્યા ગયા હતા. આટલું જ નહીં, નારાયણ રાણે કોંગ્રેસમાં જઇને ઉદ્ધવ ઠાકરેને નિશાન પર લીધા હતા.
ત્યારબાદ નારાયણ રાણે 2017માં કોંગ્રેસ છોડી દીધી હતી. બાદમાં રાણે સ્વાભિમાન પક્ષ નામથી પોતાની પાર્ટી બનાવી અને તેને બીજેપીમાં વિલય કરી નાંખી. બીજેપીએ પોતાની ટિકિટ પર રાણેને રાજ્યસભા મોકલ્યા.
નારાયણ રાણે બીજેપી સાથે આવ્યા બાદ થી જ શિવસેના કંકાવલી બેઠક પર નિતેશની ટિકિટનો વિરોધ કરી રહી હતી. માનવામાં આવે છે કે નિતેશ રાણેને ટિકિટ આપવા પાછળનું કારણ નારાયણ રાણે અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચેનો જુનો તણાવ હતો. આ જ કારણે નિતેશ રાણેનું નામ બીજેપીની પહેલી બે લિસ્ટમાં જાહેર નહોતું કરાયું.
કંકાવલીથી નિતેશ રાણેની સામે શિવસેનાએ સતીશ સાવંત અને માણમાં જયકુમાર ગોરે વિરુદ્ધ શેખર ગોરેને ઉતાર્યા છે. શિવસેનાના આ દાવથી આ બંને બેઠકોની લડાઇને રસપ્રદ બનાવી દીધી છે.