મહારાષ્ટ્રના પૂર્વ નાયબમુખ્યમંત્રી અજીત પવારે એનસીપી હાઈકમાન્ડ સાથે કોઈ પણ પ્રકારના મતભેદ હોવાની વાતનો રદીયો આપ્યો છે.
મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વિચિત્ર નિવેદન આપ્યું
દિલ્હીમાં એનસીપીના રાષ્ટ્રીય અધિવેશનમાં એક ઘટના ઘટી હતી
જેને લઈને અજીત પવારે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું
મહારાષ્ટ્રના પૂર્વ નાયબમુખ્યમંત્રી અજીત પવારે એનસીપી હાઈકમાન્ડ સાથે કોઈ પણ પ્રકારના મતભેદ હોવાની વાતનો રદીયો આપ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં મંચ છોડીને જવા પર ઉઠેલા વિવાદ પર તેમણે કહ્યું કે, હું વોશરુમમાં ગયો ગતો. હકીકતમાં નવી દિલ્હીમાં રવિવારે એનસીપીના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન અજીત પવાર મંચ પર ઉઠીને ચાલ્યા હતા. ત્યાર બાદ લોકો તેમની રાહ જોતા રહ્યા, પણ તેઓ પાછા ફર્યા નહોતા. આ દરમિયાન મંચ પર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર, પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલ, પ્રફુલ્લ પટેલ અને સુપ્રિયા સુલે જેવા નેતાઓ પણ હાજર હતા.
રિપોર્ટ અનુસાર, શરદ પવાર બાદ અજીત પવારે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. પણ આ અગાઉ પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે સંબોધન કર્યું હતું. સંભવત: આ વાત અજીત પવારને પસંદ આવી નહીં અને તેઓ મંચ છોડીને ઉઠી ગયા હતા. ત્યાર બાદ સુપ્રિયા સુલે તેમને મનાવવા માટે ગયા, પણ તેઓ પાછા ફર્યા નહીં. તો વળી મંચ પર બેઠેલા પ્રફુલ્લ પટેલે આ દરમિયાન સમર્થકોને મનાવવાની ખૂબ કોશિશ કરી, પણ વાત ખૂબ આગળ વધી ગઈ હતી.
મતભેદને લઈને પૂછાયેલા સવાલ પર અજીત પવાર ભડક્યા
તેને લઈને સોમવારે પત્રકાર તરફથી અજીત પવારને સવાલ પૂછતા ગુસ્સે થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, એનસીપીના રાષ્ટ્રીય અધિવેશનમાં મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે પોતાની વાત રજૂ કરી હતી. કારણ કે, આવા આયોજનમાં ફક્ત અધ્યક્ષ જ બોલે છે. મને બોલતા કોઈએ રોક્યો નથી. હું વોશરુમમાં ગયો હતો, શું હું બહાર જઈ શકું નહીં ?
રાજ્યમાં હાલના મુદ્દા પર વાત કરવા આવ્યો છું
અજીત પવારે કહ્યું કે, મીડિયા ફેક્ટ્સના આધાર પર રિપોર્ટ તૈયાર કરવા જોઈએ. હું અહીં રાજ્યના હાલના મુદ્દા પર વાત કરવા આવ્યો છું. નારાજગીને લઈને ફરી સવાલ કરવામાં આવ્યો તો, તેમણે કહ્યું કે, હું અપસેટ નથી, તમે શું ઈચ્છો છો કે હું સ્ટેમ્પ પેપર પર લખીને આપું ?