ગુજરાતના રબારી સમાજની ગુરૂગાદી એવા તરભ સ્થિત વાળીનાથ અખાડાના મહંત બળદેવગિરીજી બાપુનું 103 વર્ષની ઉંમરે નિધન થયું છે. મહારાજની તબિયત જૈફવયના કારણે નાદુરસ્ત હતી. આજ રોજ(ગુરૂવાર) તેઓ બ્રહ્મલીન થયા છે. વાળીનાથધામ 900 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર છે. આ રબારી-ભરવાડ કચ્છી સહિત સમગ્ર માલધારી સમાજની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે આ ગુરૂગાદીના મહંતનું આજરોજ નિધન થયું છે.
વાળીનાથ અખાડાના મહંત બળદેવગિરીજી બાપુનું નિધન
બાપુની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતી
વાળીનાથ અખાડા ધામને સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી ગણવામાં આવે છે
મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે આવેલ વાળીનાથ અખાડા ધામને સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી ગણવામાં આવે છે. ત્યારે આ ગુરૂગાદીના મહંત શ્રી બળદેવગિરિજી સુ૨જગીરીજી મહારાજનું નિધન થયું છે. બળદેવગિરી બાપુની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતી. બાપુના અવસાનથી સમગ્ર માલધારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હવે આવતીકાલે(શુક્રવાર) 3 વાગે અંતિમ યાત્રા અને સાંજે 6 વાગે સમાધી અપાશે.
PM મોદીએ ફોન કરીને અને અમિત શાહ, CM, DyCMએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી
બાપુના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આશ્રમમાં ફોન કરીને દુઃખ વ્યક્ત કર્યું અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો અમિત શાહે પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યું કે, તરભ વાળીનાથ ધામ, વિસનગર (મહેસાણા)ના મહંત તથા રબારી સમાજના ધર્મગુરૂ પૂજ્ય બળદેવગિરિજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. પ્રભુ તેમના પાવન આત્માને શાંતિ અર્પે તેમજ તેમના અનુયાયીઓ-ભક્તોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના. તો કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અને રાજકીય નેતાઓએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પી છે.
તરભવાળીનાથ ધામ,વિસનગર (મહેસાણા)ના મહંત તથા રબારી સમાજના ધર્મગુરૂ પૂજ્ય બળદેવગિરિજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું.પ્રભુ તેમના પાવન આત્માને શાંતિ અર્પે તેમજ તેમના અનુયાયીઓ-ભક્તોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના. ઓમ શાંતિ.
છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત વધુ લથડી હતી. જેને લઇને હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. બાપુની તબિયત સ્થિર થતા અમદાવાદ હોસ્પિટલથી પરત તરભ લાવવામાં આવ્યા હતા.
જૈફવયના કારણે નાદુરસ્ત થતાં માલધારી સમાજ સહિત રાજકીય અને બિનરાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી બળદેવગિરીજી મહારાજની તબિયત પૂછવા અને તેમના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા હતા.
11 વર્ષના હતા ત્યારે મહંત શ્રી 1008ના ગાદીપતિ બનેલા
મહંતશ્રી બળદેવગિરિજી મહારાજનો જન્મ મેવડ ખાતે થયો હતો. તેઓ 11 વર્ષના હતા ત્યારે મહંત શ્રી 1008ના ગાદીપતિ બનેલા જેમ-જેમ ઉંમર વધવા લાગી તેમતેમ રબારી સમાજ સહિત અન્ય સમાજમાં તેમના માન-પ્રતિષ્ઠા વધવા લાગ્યા, તેમના ભક્તિમય દિવ્ય કાર્યોથી ભક્ત સમાજમાં ક્રાંતિ છવાઈ ગઈ. નિર્મણ ગંગા સમાન પવિત્ર જીવન લાખો ભક્તોને પ્રેરણાત્મક બનવા લાગ્યું અને આયોજન બદ્ધ મંદિરની વ્યવસ્થા અને ઉત્તમ વહિવટ રાખતા હતા. રબારી સમાજના લોકો ગુરૂગાદી અને તેના આચાર્યને ભગવાનની જેમ પૂજે છે. ધર્મ સાથે શિક્ષણને જોડવાનું કામ કરનાર વર્તમાન મહંત પ.પૂ.ધ.ધૂ. શ્રી 1008 મહંત બળદેવગીરીજી બાપુ મહંત પદ પર બિરાજમાન હતા. ત્યારે આજે તેમણે 103 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. લાખો ભક્તો-શ્રદ્ધાળુઓએ તેમની શ્રદ્ધાંજલિ પાઠવી છે.