ગુજરાતના ચૂંટણી જંગમાં આ વખતે ઘણી બેઠકો પર સગા સંબંધીઓમાં 'રાજકીય મહાભારત' થતું જોવા મળી રહ્યું છે. ખુરશીના મોહમાં નેતાઓ સંબંધો ભૂલ્યા હોય એવો ઘાટ સર્જાયો છે. સત્તાની આ લડાઈમાં અહીં પિતા-પુત્રથી લઈને કાકા-ભત્રીજો અને ભાઈ-ભાઈ સુધી એક-બીજાની સામે આવી ગયા છે.
ખુરશીની ચાહતમાં હવે સંબંધો પણ બાજુમાં મુકી દેવાયા
ક્યાંક પિતા-પુત્ર તો ક્યાંક ભાઈ-ભાઈ સામ સામે
મોરબીમાં કાકાની સામે ભત્રીજાને અપાઈ છે ટિકિટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે બરાબરનો રાજકીય રંગ લાગ્યો છે. તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ખુરશીની ચાહતમાં હવે સંબંધો પણ બાજુમાં મુકી દેવાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધી જે સ્થિતિ સામે આવી છે, તેમાં કેટલીય બેઠકો પર નજીકના સગા સબંધી એક બીજાને પડકારતા જોવા મળ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંક બે ભાઈ-ભાઈ આમને સામને છે. તો કોઈક સીટ પર પિતા-પુત્ર આમને સામને છે. જોઈએ આ અહેવાલમાં…
બે સગા ભાઈ અને પિતા-પુત્ર વચ્ચે જામશે જંગ
રાજ્યના પૂર્વ સહકાર અને રમતગમત મંત્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ અને વિજયસિંહ ઠાકોરભાઈ પટેલ અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસ તરફથી લડી રહ્યા છે, જ્યારે ગુજરાતના દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવા ઝઘડિયા વિધાનસભા બેઠક પરથી તેમના પુત્ર મહેશ વસાવા સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે. આ બેઠક પર પિતા-પુત્ર વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
છોટુ વસાવાએ નોંધાવી અપક્ષ ઉમેદવારી
છોટુ વસાવાએ ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે ઝઘડિયા વિધાનસભા મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે તેમના પુત્ર મહેશ વસાવાએ ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. BTPની રચના 2017માં છોટુભાઈએ કરી હતી. ગત ચૂંટણીમાં તેમના પુત્ર મહેશ ડેડિયાપાડા મતવિસ્તારમાંથી જીત્યા હતા, જ્યારે છોટુભાઈ ઝગડિયા બેઠક પરથી જીત્યા હતા.
પિતાની સીટ પરથી જાહેર કર્યું પોતાનું નામ
બંને વચ્ચેનો અણબનાવ ત્યારે સામે આવ્યો જ્યારે BTP દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી અને મહેશ વસાવાએ ઝઘડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું, જે બેઠક પર તેમના પિતાનો કબજો હતો.
અંકલેશ્વર-હાંસોટ બેઠક પર બે સગાભાઈ સામ-સામે
અંકલેશ્વર-હાંસોટ બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા ઈશ્વરસિંહ પટેલ (58)ને ભાજપે તેમના મોટા ભાઈ વિજયસિંહ ઉર્ફે વલ્લભભાઈ પટેલ (61)ની સામે મેદાનમાં ઉતાર્યા છે. વલ્લભ પટેલ અંકલેશ્વર અને હાંસોટમાં કોળી પટેલ સમાજમાં જાણીતો ચહેરો છે અને તેમના નાના ભાઈએ બેઠક છોડવાની ના પાડી દીધા બાદ અંકલેશ્વર-હાંસોટમાંથી ધારાસભ્ય બનવાના તેમના રાજકીય ધ્યેયને આગળ ધપાવવા તેમણે થોડા મહિના પહેલા ભાજપ છોડી દીધું હતું. તેઓ (વલ્લભભાઈ પટેલ) કોંગ્રેસમાં જોડાયા હતા.
પિતા ઠાકોરસિંહ પટેલ પણ રહી ચૂક્યા છે ધારાસભ્ય
પટેલ ભાઈઓ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કુડારા ગામના રહેવાસી છે. તેમના પિતા ઠાકોરસિંહ પટેલ 1990માં અંકલેશ્વરથી ભાજપના ધારાસભ્ય હતા. ઇશ્વરસિંહ પટેલે 2002ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બાલુભાઇ પટેલને હરાવ્યા હતા અને 2017માં વિજય રૂપાણી અને આનંદીબેન પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારોમાં રાજ્ય સહકારી, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પરિવહન મંત્રી બન્યા હતા
2021માં કોંગ્રેસમાં જોડાયા હતા વલ્લભભાઈ પટેલ
બીજી તરફ વિજયસિંહ પટેલ ઉર્ફે વલ્લભભાઈ પટેલે 1987માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ભાજપની ટિકિટ પર અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેઓ અંકલેશ્વર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ જીત્યા અને હાંસોટ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના પૂર્વ ચેરમેન છે. તેઓ ભરૂચ જિલ્લામાં ભાજપના નેતાઓની ગુડબુકમાં નહોતા. જોકે, તેમણે 2021માં ભાજપ છોડવાનો નિર્ણય કર્યો અને કોંગ્રેસમાં જોડાયા. આ ચૂંટણીમાં કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે.
કાકાની સામે ભત્રીજાને ઉતાર્યો ચૂંટણીના મેદાનમાં
સૌરાષ્ટ્રના મોરબીમાં ભાજપે પાંચ વખતના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા તેમના ભત્રીજા પંકજ રાનસરિયાને ટિકિટ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે વર્તમાન ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું પત્તુ કાપીને કાંતિ અમૃતિયાને ટિકિટ આપવામાં આવી છે. આપને જણઆવી દઈએ કે, બ્રિજેશ મેરજાએ ગત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને અમૃતિયાને હરાવ્યા હતા. મેરજા 2020માં ભાજપમાં જોડાયા હતા. જે બાદ પેટા ચૂંટણીમાં તેઓએ કોંગ્રેસના જયંતિલાલ પટેલને હરાવ્યા હતા. મેરજાને ટિકિટ ન મળવા પાછળનું કારણ તાજેતરની મોરબી દુર્ઘટના જણાવવામાં આવી રહ્યું છે.