કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજરોજ કોંગ્રેસની હાર અંગેનું દુ:ખ વ્યક્ત કર્યા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી લીધી હતી. તેમણે કહ્યું કે, હાર માટે જવાબદાર છે.
કમલનાથે લીધી જવાબદારી
કમલનાથે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી સાચા છે, હું નથી જાણતો કે કોના માટે કોણ જવાબદાર છે પરંતુ પહેલા રાજીનામાની વાત કરી હતી. હા, હું હાર માટે જવાબદાર છું. આ સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાને લઇને પૂછાયેલ સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, કોંગ્રેસના અધ્યક્ષપદ માટે રાહુલ ગાંધી યોગ્ય વ્યક્તિ છે. તો વળી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને રાહુલ ગાંધી બાદ કોણ હશે કોંગ્રેસ અધ્યક્ષ તેવો સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું કે, તેમને આ મામલે કોઇ જાણકારી નથી.
રાહુલ ગાંધીએ દર્દ વ્યક્ત કર્યું
રાહુલ ગાંધીએ કહ્યું કે, મને એ વાતનું દુ:ખ છે કે મારા રાજીનામાના વાત બાદ કોઇ મુખ્યમંત્રી, મહાસચિવ તથા પ્રદેશ અધ્યક્ષોએ હારની જવાબદારી લઇને રાજીનામું નથી આપ્યું. ઉલ્લેખનીય છે કે, યૂથ કોંગ્રેસના લોકો રાહુલ ગાંધીના ઘરની બહાર એકત્રિત થયાં હતા.
કાર્યકર્તાના સવાલનો રાહુલે સહજ રીતે આપ્યો જવાબ
આપને જણાવી દઇએ કે, દિલ્હી સ્થિત રાહુલ ગાંધીના નિવાસ સ્થાને યોજાયેલ એક બેઠકમાં યુથ કોંગ્રેસના એક નેતાએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે, સર, આ સામુહિક હાર છે જેની જવાબદારી તમામની છે. તો માત્ર તમે જ કેમ રાજીનામું આપો...?
આ વાતનો ખુબ જ સહજ રીતે જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું મને એ વાતનું દુ:ખ છે કે મે જ્યારે અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની વાત કરી ત્યારબાદ કોઇએ પણ પોતાનું રાજીનામું આપવાની વાત કરી નહોંતી.