LRD ભરતીમાં એક વધુ વિવાદ અને વિરોધ સામે આવ્યો છે. બનાસકાંઠામાં પુરૂષ ઉમેદવાર દ્વારા આ મામલે ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે.
LRDના ઉમેદવારોએ કલેકટર સમક્ષ ઇચ્છામૃત્યુની કરી માંગ
માંગણીઓને લઈ કલેકટરને આપ્યું આવેદન
પુરુષ ઉમેદવારોને અન્યાય થતો હોવાનો આક્ષેપ
બનાસકાંઠામાં LRDના ઉમેદવારોએ કલેકટર સમક્ષ ઇચ્છામૃત્યુની માંગ કરી છે. માંગણીઓને લઈ કલેકટરને અંગે નિવેદન આપ્યું છે. પુરુષ ઉમેદવારોને અન્યાય થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ ભરતીમાં 33 ટકા મહિલા-67 ટકા પુરુષનો રેશિયો ન જળવાયો હોવાનું પણ કહેવાયું છે. સરકાર દ્વારા અન્યાયને લઇ ઈચ્છામૃત્યુની માંગ કરી છે.
જાન્યુઆરી-ફેબ્રુઆરી 2020માં થયું હતુ આંદોલન
LRDની ભરતીમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો મેરિટ ઊંચુ હોવા છતાં જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન મેળવી ન શકે તેવી જોગવાઇ સાથેના GADએ બહાર પાડેલા તા.1-8-2018ના ઠરાવને રદ કરવાની માંગને લઇને 70 દિવસથી ગાંધીનગરમાં SC, ST અને OBCની મહિલા ઉમેદવારો આંદોલન કરી રહી છે. જેને લઇને રાજ્ય સરકારે 11 ફેબ્રુઆરીએ આ ઠરાવમાં આંશિક સુધારો કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ બિન અનામત વર્ગે આંદોલન શરૂ કર્યું હતું. જેને કારણે રાજ્ય સરકારે મહિલાઓ માટેની અનામત બેઠકોમાં વધારો કરીને 5227 બેઠક પર ભરતી કરવાની જાહેરાત કરીને સમાધાનકારી રસ્તો અપનાવ્યો હતો.
18મી ફેબ્રુઆરીએ ગૃહમંત્રીએ આપી હતી પ્રતિક્રિયા
1-8-18 ઠરાવ મુદ્દે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ એક્ટની જોગવાઈ મુજબ ભરતી કરવામાં આવી છે. અમે ગુણવત્તામાં કોઈ સમાધાન કર્યું નથી. અનામતનું જતન કરવું સરકારની કટિબદ્ધતા છે. બેઠકમાં 2485 બેઠકો સંવેદનશીલતા આધારે વધારો કર્યો છે. બેઠકો વધારવાથી બહેનોને વધારેમાં વધારે તક મળવાની છે. 1-8-18ના ઠરાવનો એલઆરડી ભરતીમાં અમલ કરવામાં આવ્યો નથી.
શું છે વિવાદ?
1-8-2018નાં ઠરાવ અનુસાર અનામત વર્ગની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે છેલ્લા 70 દિવસથી અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગર ખાતે આંદોલન કરી રહી છે. બીજી તરફ બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ પણ ગાંધીનગર ખાતે આંદોલન શરૂ કર્યું હતું. જોકે હાલ બિન અનામત વર્ગનું આંદોલન સમાપ્ત થયું છે. બિન અનામત વર્ગ દ્વારા રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1 ઓગસ્ટ 2018નાં ઠરાવ અનુસાર મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ ઠરાવને કારણે સ્થિતિ એવી ઉભી થઈ હતી કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ હતી.