અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં ચર્ચાસ્પદ લવ સ્ટોરી સામે આવી છે. એક જ વિસ્તારમાં રહેતી બે યુવતીઓ વચ્ચેના પ્રેમસંબંધને ઘરવાળાએ મંજૂરી ન મળતા આ બંન્ને યુવતીઓ ઘર છોડીને ચાલ્યા ગયા હતા.
આ મામલો પરિવારજનોને ધ્યાને આવતા યુવતીઓની ગુમ થવાની ફરિયાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જોકે, કાગડાપીઠ પોલીસ દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી થાય તે પહેલા બંન્ને યુવતીઓ પોલીસ સ્ટેશનમાં આવી પહોંચી હતી અને પોલીસ સમક્ષ બંન્ને વચ્ચે રહેલા પ્રેમ સંબંધનો ઉલ્લેખ કર્યો હતો.
8 વર્ષ જુનો પ્રેમ સંબંધ
જો કે, યુવતીઓએ કોર્ટમાં અરજી કરી હતી કે, અમે બન્ને એક બીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરીને એકમેકના થવા માગીએ છે. યુવતીઓની અરજીની કોર્ટે નોંધ લઇને સ્વતંત્ર મુક્ત કરવાના આદેશ આપ્યા છે. આ સાથે જ સ્થાનિક પોલીસને ટકોર કરી છે કે, આ બંન્ને યુવતીઓને કોઇપણ હેરાનગતિ ન થાય તે પ્રકારે કાળજી રાખવામાં આવે.
પોલીસ સામે જણાવી આપવીતી
છેલ્લા 8 વર્ષથી પ્રેમ સંબંધમાં બંધાયેલી યુવતીઓએ પોલીસ સામે ખુલાસા કરતા જણાવ્યું કે, અમે બંન્ને એક જ શાળામાં અભ્યાસ કરીએ છીએ અને બંન્ને પ્રેમ કરીએ છે. આ સાથે જ હવે અમે બંન્ને લગ્ન કરીને આજીવન સાથે રહેવા માગીએ છીએ. યુવતીઓએ વધુમાં કહ્યું હતું કે અમે આ મામલે અમારા માવતરને સમજાવ્યા પરંતુ તેઓ અમારી આ વાતને તથા અમારા સંબંધને સ્વીકારવા તૈયાર નથી.
18 વર્ષથી વધુ ઉંમર હોવાથી બંન્નેની વાતને કોર્ટે રાખી માન્ય
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.જે. પટેલે આ મામલે ચુકાદો આપતા જણાવ્યું કે, આ કેસમાં બંન્ને યુવતીઓના કોઇ સગા સંબંધી તરફથી તેમને કોઇ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે બાબતે તકેદારી કાગડાપીઠ પોલીસે રાખવાની રહેશે. તદઉપરાંત ચુકાદાની એક નકલ PSI તથા બન્ને યુવતીઓની અરજી સાથે રાખવાની છે.