કચ્છ:દેશના સૌથી સુંદર રેલવે સ્ટેશનમાં ગાંધીધામને મળ્યું છે ત્રીજુ સ્થાન. થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય રેલવે મંત્રાલયે રેલવે સ્ટેશનોને લઇને સર્વે હાથ ધર્યો હતો. સ્વચ્છતા અને સુંદરતા મામલે હાથ ધરાયેલા સર્વેમાં 11 ઝોનના 64 રેલવે સ્ટેશનોએ ભાગ લીધો હતો. આ સર્વેમાં પ્રથમ વિજેતાને 10 લાખ બીજા વિજેતાને 5 લાખ અને ત્રીજા વિજેતાને 3 લાખ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી.
આપને જણાવી દઇએ કે ગાંધીધામ રેલવે સ્ટેશનનું હાલમાં જ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું. રેલવે સ્ટેશન પર કચ્છની સંસ્કૃતિ અને ભૌગોલિક વારસાની ઝાંખી બતાવતા ચિત્રો ચિતરવામાં આવ્યા છે. જેમાં રણ ઉત્સવ સિંધુ સંસ્કૃતિ ધોળાવીરા સુરખાબ પક્ષીઓ ઘુડખર તેમજ ભારત પાકિસ્તાન સરહદ પર તૈનાત સેનાના જવાનો કાળો ડુંગર તથા હાથ વણાંટ કલા કંડલા પોર્ટ તથા મીઠા ઉદ્યોગના ચિત્રો સામેલ છે.
ઉલ્લેખનીય છે કે કચ્છના હાલના એરિયા રેલવે મેનેજર આદિશ પાઠનીયાએ સમગ્ર એવૉર્ડનો શ્રેય અહીં અગાઉ ફરજ બજાવી રહેલ ARM કુશાગ્ર મિત્તલ અને તેમની ટિમને આપ્યો હતો.આ સાથેજ આ દિવાલ ચિત્રો માટે સ્પોન્સરશીપ કરવા બદલ ગુજરાત રિફાઇન્ડ સોલ્ટ મેન્યુફેક્ચર વેલફર એસોસિએશન નો આભાર માન્યો હતો.