સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપ માટે માઠા સમાચાર આવી રહ્યાં છે. CM રૂપાણી સહિત ભાજપના અન્ય 2 મોટા નેતાઓ કોરોના પોઝિટિવ થયા છે.
હેલ્થ બુલેટીનમાં થયો ખુલાસો
CM રૂપાણી સહિત આ મોટા નેતાઓ પણ કોરોના સંક્રમિત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કોરોનાનું ગ્રહણ
મહત્વનું છે કે આજે CM રૂપાણી કોરોના પોઝિટિવ આવતા રાજ્યમાં અને ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. ભાજપ માટે વધુ ખરાબ સમાચાર એ હતા કે CM રૂપાણીની સાથે સાથે અન્ય બે મોટા નેતાઓ પણ કોરોનામાં સપડાયા છે.ભાજપના કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા પણ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. ત્યારે બીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે એક સપ્તાહ રહ્યું છે એવામાં સ્ટાર પ્રચારકો તેમ જ દિગ્ગજ નેતાઓને કોરોના આવતા ભાજપમાં હાલ ફફડાટ પેસી ગયો છે.
હેલ્થ બુલેટીનમાં કરાઈ જાહેરાત
સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરામાં નિઝામપુરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર માટે રેલીઓ અને સભાઓને સંબોધન કરતા કરતા CM રૂપાણી ઢળી પડ્યા હતા ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
કોરોનાના દર્દી તરીકે સારવાર
CM રૂપાણીની તબિયત સુધાર પર છે. આ અંગે યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા બુલેટિન પ્રસારિત કરાયું છે. જેમાં CM રૂપાણીનો કોરોના અંગે RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, CMના ECG, સિટી સ્કેન રિપોર્ટ પણ નોર્મલ છે. CMનું ઓક્સિજન લેવલ પણ નોર્મલ છે. 24 કલાક માટે CMનો ઓબ્ઝરવેશન હેઠળ રખાયા છે.
આ લોકોનો પણ ટેસ્ટ કરાશે.
સીએમ વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે સીએમ રૂપાણીના સંપર્કમાં આવેલા અને તેમને મળેલા તમામ લોકોનો કોરોના રિપોર્ટ કરવામાં આવશે. સીએમ રૂપાણીના સિક્યુરિટી જવાનોનો કોરોના ટેસ્ટ કરાશે. સીએમ રૂપાણીના નિવાસસ્થાને આવેલા કાર્યાલયને સેનેટાઇઝ કરાશે. સીએમ રૂપાણીના કાર્યાલય અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાશે. ઉપરાંત ભાજપ સંગઠનના હોદ્દેદારોનો પણ કોરોના ટેસ્ટ કરાશે. ત્યારે થોડા દિવસ પહેલા જ પાર્લામેન્ટરીબોર્ડની બેઠક મળી હતી. જેમાં પ્રદીપસિંહ જાડેજા, નીતિન પટેલ, જગદીશ પંચાલ, રંજન ભટ્ટ, ભરત ડાંગર સીએમને મળ્યા હતા.