સાસણઃ થોડા સમય અગાઉ સમગ્ર રાજ્યને હચમચાવી નાખનારી ગીરની ઘટના સામે આવી હતી. જેમાં એક બાદ એક ટપોટપ 27 સિંહોના મોત થયા હતા. જેને લઇને સરકાર અને વનવિભાગ દોડતુ થયું હતું. ત્યારે હવે સાસણ ગીરમાં આજે(15મી ઓક્ટોબર)થી સિંહ દર્શન શરૂ થયું છે.
મહત્વનું છે કે 4 મહિના વેકેશન બાદ ફરી સિંહ દર્શન શરૂ કરાયું છે. સિંહોના પ્રજનન કાળ ચોમાસાં દરમિયાન સિંહ દર્શન બંધ કરાયું હતું. ત્યારે ફરી આજથી સાસણમાં સિંહ પ્રેમીઓ સિંહ દર્શન કરી શકશે. એવી શક્યતાઓ જણાઇ રહી છે કે ચાલુ વર્ષે પ્રવાસીઓમાં પણ વધારો થશે. જો કે આ વર્ષે 90ના બદલે 150 પરમીટની મંજૂરી આપવામાં આવી છે.
વનવિભાગના જણાવ્યા અનુસાર ગત વર્ષ કરતા આ વર્ષે પરમીટની સંખ્યા વધારીને ડબલ કરવામાં આવી છે. જો કે ગુજરાતના ગીરમાં થયેલ સિંહોના મોત બાદ અમેરિકાથી રસી મંગાવવામાં આવી હતી. જેને લઇને રસીકરણ કર્યા બાદ હજુ સુધી કોઇ સિંહનું મોત થયું નથી. તમામ સિહોનું આરોગ્ય સારુ હોવાનું વનવિભાગ જણાવી રહ્યું છે.