અમદાવાદના 2 યુવકો પિકનિક દરમિયાન ઝાંઝરી ધોધમાં ડૂબી જતાં બંનેના મોત નિપજ્યાં હોવાના કરુણ સમાચાર સામે આવી રહ્યા છે.
બાયડના ઝાંઝરી ધોધમાં ડૂબી જતા 2ના મૃત્યુ
અમદાવાદથી પિકનિક માટે ઝાંઝરી પહોચ્યા હતા યુવકો
જીતુ બગેલ અને અમન તોમર નામના વ્યક્તિઓ ડૂબ્યા
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા ઝાંઝરીના ધોધમાં ડુબવાની વધુ એક ઘટના સામે આવી છે. જ્યા અમદાવાદથી પિકનિક માટે આવેલા 2 વ્યક્તિઓ નહાવા પડ્યા હતા. જે ધોધના જળપ્રવાહમાં ડૂબ્યાં બાદ બંને વ્યક્તિઓના મોત નિપજતા સનસનાટી મચી ગઇ છે. આ અંગે જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર સહીતનો સ્ટાફ દોડી ગયો હતો.
અમદાવાદના મેઘાણીનગરથી ઝાંઝરી ધોધ આવ્યા હતા
અરવલ્લીના બાયડના ઝાંઝરી ધોધમાં નહાવા પડેલા 2 વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. અમદાવાદના મેઘાણીનગરથી ઝાંઝરી ધોધ પર પિકનિક માટે 6 વ્યક્તિઓ પહોચ્યા હતા. જે દરમિયાન ભોગીયા ધરામાં 6 વ્યક્તિઓ ધોધમાં નહાવા માટે પડ્યા હતા. જેમાં જીતુ બગેલ અને અમન તોમર નામના બે વ્યક્તિઓ ડુબવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ તેમને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના બચાવના પ્રયાસો નિષ્ફળ નિવડ્યા હતા. અને બનેના મોત નિપજ્યાં હતા. આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. વધુમાં વતનમાં આ વાવડ મળતા પરિવારજનોમાં રોકકળાટ ફેલાયો છે.
મહત્વનું છે કે આ અગાઉ મે મહિનામાં ઈદના તહેવારોની રજાઓને લઈને અમદાવાદના યુવાનો ઝાંઝરીમાં ફરવા માટે આવ્યા હતા. જ્યાં ઝાંઝરીના ધોધમાં નહાવા પડેલા અમદાવાદના ત્રણ યુવકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું હતું.