અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધતા તે હવે વાયરસનો ગઢ બની ગયો છે. જો કે, થોડા સમયગાળા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ મોલ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો પરંતુ આ નિર્ણયને બદલીને મનપાએ મોટા મોલ ખોલવાની મંજૂરી આપી દીધી છે.
લૉકડાઉનમાં અમદાવાદીઓ માટે આવ્યા મોટાં સમાચાર
આ નિયમ સાથે મૉલ થયા ફરી શરુ
કમિશનરે પહેલા આદેશ આપીને કરાવ્યા હતા બંધ
ઉલ્લેખનીય છે કે, મેટ્રો સીટી ગણાતા અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં ડીમાર્ટ, સ્ટાર બજાર, જેવા મોલ આવેલા છે જ્યાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી કરતા હોય છે ત્યારે કોરોના વાયરસ વધુ પ્રમાણમાં ન ફેલાય તેના આગોતરા પગલાને જોતા તમામ મોલ બંધ રાખવાનો મનપા દ્વારા કરવામાં આવ્યો હતો.પરંતુ આજથી તમામ મોલને ખોલી નાંખવાની મંજૂરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યો છે. જ્યાથી લોકો કરિયાણું તેમજ જીવન જરૂરી વસ્તુઓની ખરીદી કરી શકાશે.
રાખવામાં આવી શરત
અગત્યની બાબત એ છે કે અમદાવાદના મોલ રાત્રે 8 વાગ્યા સુધી ટોકન સિસ્ટમ આપીને ચાલું રાખવામાં આવશે અને ટોકનવાળાને જ મોલમાં પ્રવેશ આપવામાં આવશે. બીજી શરત એવી પણ રાખવામાં આવી છે કે, મોલમાં એક સાથે તમામ લોકોને પ્રવેશ મળી શકશે નહીં. માત્ર 4થી 5 લોકોને જ એક સાથે પ્રવેશ આપવામાં આવશે.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા ખુદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ મોલ પર થતી ભીડ દૂર કરવા ખરીદી બંધ કરી હોમ ડિલિવરી જ કરશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ આજથી ફરી મોલ ધમધમતા થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
કોરોનાનું હોટસ્પોટ છે અમદાવાદ
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે ત્યારે અમદાવાદને કેન્દ્ર સરકારે કોરોના માટે હોટસ્પોટ જાહેર કર્યુ છે. જે મુજબ કોરના મહામારી અમદાવાદને તારાજ કરી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં 82 કોરોનાના કેસ નોંધાયા છે જેમાંથી 31 કેસ એકલા અમદાવાદમાં જ નોંધાઈ ચુક્યા છે જ્યારે મોત મામલે પણ અમદાવાદ ટોપ ઉપર છે. ગુજરાતમાં કુલ 6 લોકો કોરોનાથી જીવ ગુમાવી ચુક્યા છે ત્યારે અમદાવાદમાં જ 3 લોકોના જીવ કોરાનાને કારણે ગયા છે.