અલ્પેશ ઠાકોરે વિરમગામ પાસે સીતાપુરની જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ નવઘણજી ઠાકોરે લગાવ્યો હતો. જેને લઈ આ સમગ્ર મામલે ઠાકોર સેના અને OBC, SC, ST એકતા મંચ હવે મેદાને આવ્યું છે. આ તમામે નવઘણજી ઠાકોર વિરુદ્ધ પુરાવા રજુ કર્યા છે.
અલ્પેશ પર આક્ષેપ બાદ ઠાકોર સેના અને OBC, SC, ST એકતા મંચ આવ્યું મેદાને
ઠાકોર સેનાએ નવઘણજી ઠાકોર પર જમીન પચાવી પાડ્યાનો આક્ષેપ
અગાઉ નવઘણજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર જમીન પચાવી પાડવાનો આરોપ લગાવ્યો હતો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ભૂમાફિયાઓને અંકુશમાં લઇ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવાની સંકલ્પબદ્ધતા સાથે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો કડક અમલ કરતો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. ત્યારે આ કાયદાને ભાજપના ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરે આવકાર્યો હતો. ત્યારબાદ અલ્પેશ ઠાકોર સામે જમીન પચાવી પાડવાનો આરોપ નવઘણજી ઠાકોર દ્વારા લગાવવામાં આવ્યો હતો. જોકે અલ્પેશ ઠાકોર પર આક્ષેપ બાદ ઠાકોર સેના મેદાને આવ્યું છે.
નવઘણજી ઠાકોર વિરુદ્ધ પુરાવા રજુ કર્યા
ઠાકોર સેના અને OBC, SC, ST એકતા મંચે નવઘણજી ઠાકોર પર જમીન પચાવી પાડ્યાનો આક્ષેપ કર્યો છે. ઠાકોર સેનાએ નવઘણજી ઠાકોર વિરુદ્ધ પુરાવા રજૂ કર્યા હતા. નવઘણજી ઠાકોરે પિતાના સગા ફોઈ સાથે છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ જમીન નવઘણનજીએ ખોટી રીતે વારસાઈ કરાવી 2007માં વેચી નાખ્યાના આક્ષેપ કરાયો છે. ઠાકોર સેનાએ તેના દસ્તાવેજ પુરાવા પણ રજૂ કર્યા છે. ઠાકોર સેનાએ કહ્યું કે, નવઘણજી ઠાકોરનો ગુનાહિત ઇતિહાસ છે.
મારી સામેના આક્ષેપોમાં કોઈ તથ્ય નથીઃ અલ્પેશ ઠાકોર
મહત્વનું છે કે, અગાઉ નવઘણજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર જમીન પચાવવાના આક્ષેપો લગાવ્યા હતા. આ આક્ષેપોને અલ્પેશ ઠાકોરે ફગાવ્યા હતા. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, મેં કોઈ ને રિવોલ્વર બતાવી નથી. મને બદનામ કરવામાં આવી રહ્યો છે. મારી સામેના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી.
નવઘણજીએ અલ્પેશ ઠાકોર પર જમીન પચાવી પાડવાનો આક્ષેપ લગાવ્યો હતો
અલ્પેશ ઠાકોરે ધમકી આપી 37 વિઘા જમીન પચાવ્યાના નવઘણજી ઠાકોરે આક્ષેપ લગાવ્યા હતા. નવઘણજીએ કહ્યું હતું કે, જમીન મુદ્દે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. કેસ લડવાના પણ હવે પૈસા નથી. નવઘણજી ઠાકોરે સોશિયલ મીડિયામાં લેટર વાયરલ કર્યો છે. નવઘણજીએ કહ્યું કે, સમાજનો ઉપયોગ કરનાર બહુરૂપિયાને ઓળખો. અલ્પેશ ઠાકોર સમાજનો ઉપયોગ કરી પૈસા હડપે છે.