ભારત અને ચીન વચ્ચે મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે અને ચીન તેનું પરિણામ પણ ભોગવી રહ્યું છે. હજુ સુધી લોકોના મનમાં ચીન સામે રોષ ભભૂકી રહ્યો છે અને જેના કારણે ઘણા બધા લોકો ચીની સામાનનો બહિષ્કાર કરી રહ્યા છે.
દિવાળીમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી પર લોકોનું જોર
સ્વદેશી દીવડાંઓની બજારમાં માંગ વધી
પીએમ મોદીએ પણ લોકોને વોકલ ફોર લોકલ થવાની કરી છે હાંકલ
દુકાનદારો દ્વારા સ્વદેશી દીવડાંઓની માંગ
ભારતના વિવિધ તહેવારોમાં પહેલા ચીની સામાનનું ધૂમ વેચાણ થતું હતું પણ હવે જનતા દિવાળીમાં અધિકમાં અધિક ચીની સમાનનો બહિષ્કાર કરીને ડ્રેગનને સબક શીખવાડવાના મૂડમાં છે. દિવાળીમાં લોકોના ઘરોમાં હવે સ્વદેશી દીવડાઓ રોશની ફેલાવશે, જેના કારણે દુકાનદારો તરફથી સ્વદેશી દીવા માટે મોટી સંખ્યામાં માંગ વધી રહી છે. બજારમાં આ વર્ષે 150 અલગ અલગ પ્રકારના રંગબેરંગી દીવાઓ જોવા મળી રહ્યા છે.
નોંધનીય છે કે દિવાળીમાં હવે પહેલા કરતા ઓછા દીવડાઓની માંગ રહેતી હતી પરંતુ આ વર્ષે મોટા ભાગના દુકાનદારો અનુસાર ધાર્યા કરતા વધુ માંગ જોવા મળી રહી છે. બજારમાં ખરીદી કરવા આવી રહેલા લોકોમાં ચીનને લઈને ગુસ્સાની ભાવના જોવા મળી રહી છે. નોંધનીય છે કે દિલ્હીની બજારોમાં ખાસ સ્વદેશી દીવાઓની માંગ વધારે જોવા મળી રહી છે.
વોકલ ફોર લોકલની અપીલ
નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે ભારતનું અર્થતંત્ર જ્યાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદીએ પણ લોકોને વોકલ ફોર લોકલ થવા હાંકલ કરી છે. પીએમ મોદીએ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન અને ખરીદી કરવા અપીલ કરી હતી.
ગાયના છાણમાંથી પણ દીવડાંઓ બનશે
કામધેનુ આયોગ દ્વારા થોડા સમય પહેલા જ ગાયના છાણથી વિવિધ વસ્તુઓ બનાવવાની જાહેરાત કરી હતી. તહેવારોની સીઝન શરુ છે ત્યારે ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવેલા દીવા પણ હવે બજારમાં આવવા તૈયાર છે. ઓર્ગેનિક ખેડૂતો દ્વારા આ પ્રકારના દીવડાંઓ બનાવવામાં આવી રહ્યા છે અને તેના દ્વારા ગ્રામીણ મહિલાઓને રોજગારી પણ મળી રહી છે. ભારતમાં આવા કરોડોની સંખ્યામાં દીવા તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.