કચ્છ: રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. ખાસ કરીને કચ્છમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે જ્યારે કચ્છના અનેક વિસ્તારમાં પીવાના પાણીની પણ અછત જોવા મળી રહી છે.
પાણીની આ સમસ્યાને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ ટપ્પર ડેમને નર્મદાના નીરથી ભરી દેવા સુચના આપી છે. જેને લઈને ટપ્પર ડેમને 500 મિલિયન કયુબેક ફીટ પાણીથી ભરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યાન અન્ય જિલ્લાની સરખામણીએ રાજ્યના વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટા જિલ્લા કચ્છમાં પ્રમાણમાં ઓછો વરસાદ છે. ત્યારે પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે ટપ્પર ડેમ ભરવાનું શરૂ કરાયું છે.
ટપ્પર ડેમમાં GWIL અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અંદાજીત 500 મિલિયન કયુબેક ફીટ પાણીનો સંગ્રહ કરાશે. જે 90 દિવસ ચાલે તેવી સંભાવનાઓ સ્થાનિક અધિકારીઓએ વ્યક્ત કરી હતી.
એક તરફ મોટો રણ પ્રદેશ ધરાવતા કચ્છ જિલ્લામાં પાણીનો પ્રશ્ન અવાર-નવાર થયો હોય છે ત્યારે ત્યાંની પ્રજાનો સંપુર્ણ આધાર નર્મદા પર છે. આ સમયે પાણીની સમસ્યા ઉદભવતા આજરોજ રાજ્ય સરકારે ડેમને નર્મદાના નીર વડે ભરવાની સૂચના આપી હતી.
જેના પગલે આ કામગીરી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઇએ કે 2002 બાદ તેની પાણી સંગ્રહ શક્તિ વધારાઇ છે. આ પહેલા વડાપ્રધાનના હસ્તે ટપ્પર ડેમ ભરવાનું આયોજન કરાયુ હતું અને ફરી એવી જ રીતે ટપ્પર ડેમ ભરી કચ્છની પાણીની જરૂરીયાત પૂર્ણ કરાશે.
આપને જણાવી દઇએ કે કચ્છના આ ટપ્પર ડેમમાં નર્મદાનું પાણી ભરવામાં આવતા પ્રતિદિન 100 એમ.એલ.ડી પાણી મળશે. જે પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામ અને પશ્ર્ચિમ કચ્છના માંડવી ભુજ લખપત સહિતના દરેક તાલુકા મથકની પાણીની જરૂરીયાત પૂર્ણ કરવા વપરાશે.