રાજ્યની 6 વિધાનસભા બેઠકો પર આગામી 21મી ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે 24મી ઓક્ટોબરે તેનું પરિણામ જાહેર થશે. આ પેટાચૂંટણી માટે પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે પેટાચૂંટણી મામલે કુંવરજી બાવળિયાએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે.
રાજકોટ ખાતેની ભાજપની બેઠક
ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ
ભાજપના ધારાસભ્યો અને સાંસદો પણ હાજર રહ્યા હતાં
પેટાચૂંટણી મામલે કુંવરજી બાવળિયાએ જણાવ્યુ હતું કે ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઇ છે. નાની-મોટી નારાજગી છે તે દૂર કરવામાં આવશે. ઠાકોર સમાજમાં રહેલી નારાજગી દૂર કરવામાં આવશે. ઉત્તર ગુજરાતની ચારેય બેઠક પર ભાજપનો વિજય થશે. રાજકોટ ખાતેની ભાજપની બેઠકમાં તેમણે આ નિવેદન આપ્યું છે. ટૂંક સમયમાં ભાજપ ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.
મહત્વનું છે કે, રાજકોટમાં ભાજપ સંગઠન સંરચનાની બેઠક યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્ર ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ધારાસભ્યો અને સાંસદો પણ હાજર રહ્યા હતાં. ભાજપના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી વી.સતીશ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપે આ 6 નેતાઓની ટિકિટ પાક્કી કરીઃ સૂત્ર
ગુજરાત ભાજપના સંગઠનના અંગત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જીતુ વાઘાણી અને વિજય રૂપાણીના વડપણ હેઠળ ભાજપના મોવડી મંડળે 6 નેતાઓના નામ નક્કી કરી દીધા છે. બસ હવે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મહોર મારે તેની જ રાહ છે.
રાધનપુર તો અલ્પેશ ઠાકોરની જ
કોંગ્રેસમાંથી રાજીનામું દઈ ભાજપમાં આવેલાં અલ્પેશ ઠાકોર તો રાધનપુરથી ફરી ભાજપના ધારાસભ્ય બનવાવા સપનાં સાથે જ આવ્યા છે. પરંતુ આ બેઠક પર શંકર ચૌધરીનું રાજકીય પ્રભુત્વ હોવાથી અલ્પેશને ટિકિટ ન આપવાં મુદ્દે વાતચીત ચાલતી હતી. પરંતુ જીતુ વાઘાણીએ આડકતરી રીતે એક કાર્યક્રમમાં કહી દીધું કે અલ્પેશની ટિકિટ રાધનપુરથી ફાઈનલ જ છે.
અમરાઈવાડી બેઠક પાટીદારો માટે સુરક્ષિત
હસમુખભાઈ પટેલને એકાએક પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી અને તેઓ જીતી પણ ગયા એટલે હવે અમરાઈવાડી બેઠક ખાલી પડી. જો કે આ બેઠક પર પાટીદારોનું જ પ્રભુત્વ રહ્યું છે એટલે પાટીદારને જ ટિકિટ આપી એવું પાર્ટી માની રહી છે. આ વખતે જુના જોગી અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા આ બેઠક પરથી ચૂંટણી લડે તેવી પૂરી શક્યતા છે.
બાયડ બેઠક પર બે નેતાઓનો દાવો પણ...
બાયડ બેઠક પર એક તો ધવલસિંહ ઝાલા તો દાવેદાર છે જ પરંતુ ક્યાંથી ફણગો ફૂંટ્યોને પેટાચૂંટણીની જાહેરાત થતાં મહેન્દ્રસિંહ વાઘેલા કુદવા મંડ્યા પણ. પાર્ટીએ નક્કી કરી લીધું છે કે ધવલસિંહ ઝાલા જ અમારા ઉમેદવાર છે બસ અમિતભાઈ મહોર મારે.
ખેરાલું બેઠક પર શંકર ચૌધરીનું નામ આગળ
ખેરાલું બેઠક પર ચૌધરીઓનું પ્રભુત્વ હોવાથી શંકર ચૌધરીનું નામ મોખરે છે. પરંતુ આ રાજનીતિનું તો કંઈ કહી ના શકાય અમિત શાહ જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા હતાં ત્યારે અંગત સમય માંગી મળવા ગયેલા રમિલાબેન દેસાઈ તો એવું જ માને છે કે મારી ટિકિટ ખેરાલુંથી ફાઈનલ. પરંતુ પાર્ટી શંકરભાઈ સિવાય કોઈને ટિકિટ આપશે જ નહીં એવું સુત્રો કહે છે.
થરાદમાં પરબત પટેલના દિકારાનું નામ ફાઈનલ
પરબત પટેલ લોકસભાના સાંસદ બનતા ખાલી પડેલી બેઠક પર કોણ ચૂંટણી લડશે એ વિડંબણા હતી. પરંતુ મોવડી મંડળ પર પ્રેસર કરી પરબત પટેલ પોતાના દિકરા શૈલેષનું નામ લગભગ નક્કી કરી દીધું છે. જો કે અમિત શાહ આ વાત સ્વીકારી લે તો શૈલેષની રાજનીતિમાં જબરજસ્ત એન્ટ્રી થશે.
લુણાવાડા સીટ પર નામને લઈ અવઢવ
લુણાવાડા સીટ પરથી કોને ચૂંટણી લડાવવી એ અંગે મોવડી મંડળ પણ અવઢવમાં હતું. પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખ જે પી પટેલનું નામ આતાં જ સર્વ સંમતિ સધાયી હોય તેવા સુત્રોના સમાચાર છે.