સુરત: દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવશે. ત્યારે ગુજરાતના અનેક મંદિરોમાં શ્રીકૃષ્ણ મહોત્વની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ તરફ અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજી મંદિરમાં માધવને રીઝવવા મંદિરમાં ટ્રસ્ટીઓ દ્વારા આસોપાલવ કેળ વાંસ ફૂલ તેમજ રંગબેરંગી લાઈટોથી શણગાર કરવામાં આવ્યો છે.
જન્માષ્ટમીના દિવસે સવારે 10 કલાકે ભગવાન કૃષ્ણની ગણપતિ મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં હજારો ભક્તો કૃષ્ણમય બનશે. આ શુભ પ્રસંગે યુવાનો દ્વારા ખાસ તૈયાર કરાયેલી મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજાશે. જન્માષ્ટમી નિમિતે મંદિર પરિસરમાં ખાસ રાસ ગરબાનુ પણ આયોજન કરવામાં આવ્યું છે.
તો બીજી તરફ ડાકોરના મંદિરમાં મંદિર અને પોલીસ પ્રશાસન દ્વારા તૈયારીઓને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે. મંદિરને રંગબેરંગી રોશની તોરણ અને દીવાથી શણગારવામાં આવ્યું છે. ભગવાન રણછોડજીને ગોપાલાષ્ટમીની રાત્રે 12 વાગે કેસર તિલક બાદ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યાર બાદ સોના અને ચાંદીના પારણામાં ભગવાનને ઝુલાવવામાં આવશે.
તો સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિરમાં કૃષ્ણ મહોત્સવ માટે ખાસ વૃંદાવનથી વાઘા મંગાવવામાં આવ્યા છે. રૂપિયા 4 લાખના વાઘાથી માધવનો શણગાર કરવામાં આવશે અને અમદાવાદના હરેક્રિષ્ન મંદિરમાં ભગવાન કૃષ્ણને વધાવવા ભક્તોમાં આતુરતા છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા ખાસ પ્રસાદ તૈયાર કરાયો છે. કાનુડાને વધાવવા ભક્તોમાં થનથગાટ જોવા મળી રહ્યો છે.