કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો ઘણા દિવસથી આંદોલન કરી રહ્યા છે ત્યારે ભાજપ નેતાઓ દ્વારા અવારનવાર ખેડૂત આંદોલન પર વિવાદિત નિવેદનો આપવામાં આવે છે.
ખેડૂત આંદોલન પર વિવાદિત નિવેદન
ભાજપ નેતાના વિવાદિત નિવેદન બાદ ખેડૂતો રોષે ભરાયા
ભાજપ નેતાએ ખેડૂતોની વચ્ચે આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા વ્યક્ત કરી
ભાજપ નેતા દ્વારા વિવાદિત નિવેદન
ખેડૂતોના ચાલી રહેલા આંદોલનને લઈને ભાજપના પ્રદેશ મહામંત્રી અને રામગંજમંડી બેઠક પરથી ધારાસભ્ય મદન દિલાવરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે આંદોલન પર બેઠેલા ખેડૂતો દરરોજ ચિકન, બિરિયાની સહિત અન્ય વાનગીઓની સાથે પાર્ટી કરી રહ્યા છે અને તેના કારણે બર્ડ ફ્લૂ ફેલાવવામાં ખેડૂત આંદોલનનો મોટો હાથ છે.
ખેડૂતોની વચ્ચે આતંકીઓ હોવાના આક્ષેપ
દિલાવર અહિયાં જ ન રોકાયા તેમણે વધુમાં કહ્યું કે આ આંદોલનમાં સામેલ લોકોમાં આતંકવાદી છુપાયા હોવાની આશંકા છે. તેમણે સરકારથી માંગ કરતાં કહ્યું કે વહેલામાં વહેલી તકે સરકારે આંદોલન કરવા બેઠેલા ખેડૂતોને રસ્તા પરથી ઉઠાવી દેવા જોઈએ નહીં તો બર્ડ ફ્લૂ જેવી ઘાતક બીમારી ફેલાવવામાં આ આંદોલન દેશમાં મોટું સંકટ પેદા કરી દેશે. ભાજપ નેતા મદન દિલાવરનું આ વિવાદિત નિવેદન સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યું છે અને લોકો ટીકા પણ કરી રહ્યા છે.
ખેડૂતોએ આપ્યો જવાબ
ખેડૂત અગ્રણીઓએ આ પ્રકારના નિવેદનની નિંદા કરી છે. અખિલ ભારતીય કિસાન મહાસભાના પ્રદેશ ઉપાધ્યક્ષ દૂલીચંદ બોરદાએ કહ્યું કે આ નેતાએ પહેલાથી જ આંદોલનને બદનામ કરવાના પ્રયત્નો કર્યા છે. નિવેદનબાજીઓ કરીને ખેડૂતોના આંદોલનને ખતમ કરી દેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પણ આંદોલન પર ભાજપના કોઇ પણ નિવેદનની અસર થશે નહીં. જ્યાં સુધી માંગ પૂરી થશે નહીં ત્યાં સુધી આ આંદોલન પૂરું થશે નહીં.
26મી જાન્યુઆરીએ થશે ટ્રેક્ટર પરેડ
નોંધનીય છે કે આશરે 50 દિવસથી ખેડૂતો દિલ્હી અને આસપાસની સરહદો પર આંદોલન કરવા બેઠા છે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરવામાં આવી રહયું છે ત્યારે ખેડૂતોને મનાવવા માટે સરકારે પણ કવાયત શરૂ કરી છે. ખેડૂતો અને સરકાર વચ્ચે કેટલાય સ્તરની બેઠક કરવામાં આવી પરંતુ આ બેઠકમાં કોઇ જ પરિણામ આવ્યું શક્યું નથી ત્યારે હવે ખેડૂત સંગઠનો દ્વારા 26મી જાન્યુઆરીના રોજ હજારો ખેડૂતોની સાથે ટ્રેક્ટર પરેડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.