ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ ગુજરાતમાં ચોમાસાને લઈને મોટુ અપડેટ સામે આવ્યુ છે, રાજ્યમાં ચોમાસું મોડુ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી લોકોને તોબા પોકારાવી રહી છે. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે અન્ય પ્રકારના ફેરફાર નહીંવત હોઈ કમોસમી વરસાદની શક્યતા ગાયબ થઈ છે. જોકે, પુરબહારમાં ખીલી ઊઠેલા ઉનાળામાં અરબી સમુદ્રથી આવતા ભેજવાળા પવનોએ બફારો વધારી દીધો છે. વાદળછાયું વાતાવરણ અને બફારો છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના લોકોને ભારે ગરમી આપી રહ્યો હોય, તેમ છતાં ઉકળાટ વધવાથી લોકો ત્રસ્ત થયા છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાને લઈને મોટુ અપડેટ સામે આવ્યુ છે.રાજ્યમાં ચોમાસું મોડુ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન ગુજરાતમાં વરસાદ સરેરાશ સામાન્યથી મધ્યમ રહેશે. કેરળમાં 4 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થવાની સંભાવના છે. ગુજરાતમાં કેરળમાં વરસાદના 15 દિવસ બાદ ચોમાસાની શરૂઆત થશે. એટલે કે ગુજરાતમાં 19 જૂન સુધીમાં ચોમાસાનો પ્રારંભ થવાની શક્યતા છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્યથી મધ્યમ રહેવાનુ પુરેપુરી સંભાવના છે.
શિક્ષકોની બદલીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યાં, લાંબા સમયથી રાહ જોઇ રહેલા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. લાંબા વિવાદ બાદ થોડા સમય અગાઉ જ બદલી મુદ્દે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ પ્રથમ વાર નવા નિયમો આધિન પ્રથમવાર જિલ્લા આંતરિક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કો તારીખ 02 જૂનથી 1 જુલાઈ 2023 સુધી યોજાશે.
લાંબા સમયથી રાહ જોઇ રહેલા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકમિત્રોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય … pic.twitter.com/4jY99OOF2b
સમગ્ર રાજ્યમાં અંગ દજાડતી આકરી ગરમી પડી રહી છે ત્યારે રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં 41 ડિગ્રીને ઉપર તાપમાન પહોંચ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ ગુજરાતમાં 1 ડિગ્રી તાપમાન વધી શકે છે અને હાલ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, સાયક્લોનના કારણે કેરલમાં 4 દિવસ મોડું ચોમાસુ પહોંચશે અને ગુજરાતમાં પણ ચોમાસું મોડું બેસશે તેમજ 5 દિવસ સુધી અમદાવાદમાં યલો એલર્ટ. અત્રે તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં હજું આવું તાપમાન રહેવાનું છે અને તેનાથી ગરમીના પ્રકોપથી લોકો બચી શકશે, તેમ છતાં ભેજનું પ્રમાણ લોકો અકળાવશે, 18 અને 19 મેના દિવસે શહેરમાં યલો એલર્ટ રહેશે, યલો એલર્ટમાં ગરમીનું પ્રમાણ 41થી 43 ડિગ્રી તાપમાન રહેશે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોને ઘર આંગણે રોજગારી મળી રહે તે આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં નવીન જી.આઇ.ડી.સી.ની સ્થાપના માટે વિધાનસભા સત્રમાં જાહેરાત કરવામાં આવી હતી. આ સંદર્ભે ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમના નિયામક મંડળ દ્વારા રાજ્યના 13 જિલ્લાઓમાં નવી જી.આઇ.ડી.સી. સ્થાપવા માટે જમીનની એક જથ્થે ઉપલબ્ધતા, ડિમાન્ડ સર્વે, સ્થાનિક પરિબળો અને કૃષિ ઉત્પાદન વગેરેના પ્રાથમિક શક્યતાદર્શી તપાસ અહેવાલ એટલે કે પ્રિ-ફિઝીબિલીટી એસેસમેન્ટ રીપોર્ટ મેળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં લેવાયેલ આ મહત્વના નિર્ણયની વિગતો આપતા મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યના ઝડપી ઔદ્યોગિક વિકાસ દ્વારા આર્થિક વિકાસ સાધી શકાય છે. જેને ધ્યાને લઇને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે ગુજરાત આજે રોજગારી પૂરી પાડવામાં દેશભરમાં મોખરે રહ્યું છે. રાજ્યમાં વધુને વધુ રોજગારી ઉપલબ્ધ બને અને ઉદ્યોગગૃહો પોતાનો ઉદ્યોગ સરળતાથી સ્થાપી શકે તે આશયથી રાજ્ય સરકારે અનેકવિધ સુવિધાઓ ઓનલાઇન પૂરી પાડી છે. જેના પરિણામે ગુજરાતમાં મૂડી રોકાણ વધ્યું છે અને અનેક ઉદ્યોગગૃહો રાજ્યમાં આવ્યા છે. જેને ધ્યાને લઇને રાજ્યમાં રોજગારનું પ્રમાણ વધે તે આશયથી રાજ્ય સરકારે આ નવીન જી.આઇ.ડી.સી. સ્થાપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના લોકદરબાર યોજાવાનો છે જેને લઈ અવનવા નિવેદનો સામે આવી રહ્યાં છે તેમજ વર્તમાનમાં આ મુદ્દો ખૂબ જ રસપ્રદ તેમજ ટ્રેન્ડિગ બન્યો છે, ધીરેન્દ્ર શાસ્ત્રીના લોકદરબારને લઈ ક્યાંક વિરોધના સૂર ઉઠ્યા છે તો વળી ક્યાંક સમર્થનના પોસ્ટર લાગ્યા છે ત્યારે આ બધાની વચ્ચે વિવિધ સંતો મહંતોના નિવેદનો સામે આવી રહ્યાં છે. બાબાના વિરોધ પર સંતોનો મતવ્યો સામે આવ્યા છે ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના યાજાનાર દિવ્ય દરબારને લઈ ઋષિ ભારતી બાપુનું નિવેદન સામે આવ્યું છે. ઋષિ ભારતી બાપુએ કહ્યું કે સત્ય હોય તો પ્રમાણ જરૂર મળશે હું વ્યક્તિગત ધીરેન્દ્ર શાસ્ત્રીને નથી ઓળખતો તેમજ સનાતન ધર્મને લઈ હું તેમને આવકારું છે. વધુમાં કહ્યું કે, અન્ય ધર્મના નામે પણ ધતિંગ થતા હોય છે તેમનો વિરોધ કેમ નથી થતો? અમને આમંત્રણ આવશે તો જરૂર જઈશું તેમ પણ ઋષિ ભારતી બાપુએ જણાવ્યું હતું.બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારને લઈને હાલ ગુજરાતમાં વિવાદ સર્જાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મુળ તિરથ ધામ ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન શાસ્ત્રી હરીજીવન સ્વામીએ બાગેશ્વર બાબાનું સમર્થન કરતાં વીટીવીને કહ્યું કે. તેમનાંમાં કોઇક દિવ્ય શક્તિ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 19થી 24 મે વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. જે મામલે વિદેશ મંત્રાલય દ્વારા જાહેરાત કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિદેશ મંત્રાલય ગ્રૂપ ઓફ સેવન અને ક્વાડ સહિત ત્રણ મહત્ત્વની બહુપક્ષીય સમિટમાં ભાગ લેવા જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની છ દિવસની મુલાકાતે જશે.સત્તાવાર રીતે જાહેર થયેલી વિગત અનુસાર પીએમ મોદી 19થી 21 મે સુધી જાપાનના હિરોશિમામાં રોકાશે. વધુમાં જાપાનમાં યોજાનારી G7 સમિટમાં ભાગ લેશે. બાદમાં 22 મેએ જાપાનના પોર્ટ મોરેસ્બીની મુલાકાત લેશે. ત્યારબાદ 22થી 24 મે દરમિયાન ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. મહત્વનું છે કે 22 મેના દિવસે પાપુઆ ન્યૂ ગિનીના PM જેમ્સ મારાપે સાથે મુલાકાત કરશે.આ ઉપરાંત ફોરમ ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડની કોર્પોરેશન સમિટમાં પણ ભાગ લેવા જશે. તેમજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ક્વાડ સમિટમાં પણ ભાગ લેશે.નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનિઝ દ્વારા ક્વાડ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને જાપાનના PM ફ્યુમિયો કિશિદા સહિતના આગેવાનો હિસ્સો બનશે.
‘Opportunity to deepen partnerships’: US State dept on PM Modi's June visithttps://t.co/DOmxAcg31D
IPL 2023માં પહેલાથી જ બહાર આવેલી દિલ્હી કેપિટલ્સે અન્ય ટીમોની ખેલ ખરાબ કરવાનું શરૂ કરી દીધું છે અને પંજાબ કિંગ્સ તેનો પહેલો શિકાર બની છે. ધરમશાલામાં બુધવારે 17 મેના રોજ આ સિઝનની પ્રથમ મેચમાં દિલ્હીએ જબરદસ્ત બેટિંગ બાદ મજબૂત બોલિંગનું પ્રદર્શન કર્યું અને પંજાબને 15 રનથી હરાવ્યું છે, દિલ્હીની આ પાંચમી જીત છે પરંતુ તેનાથી પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે.
સૂત્રો અનુસાર ડીકે શિવકુમારે ડેપ્યુટી CM પદ માટે ચોખ્ખી ના પાડી છે. અઢી-અઢી વર્ષની સરકાર રચવાનો પણ ફોર્મ્યુલા ઘડવામાં આવી રહ્યો છે. જેના સમીકરણો પર પણ ખડગે વિચારી રહ્યાં છે. એ સાથે ડીકે શિવકુમારે પહેલાં અઢી વર્ષ તેમને અપાય તેવી પણ માંગ કરી છે. બંને નેતાઓ મુખ્યમંત્રી પદ માટે લડી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ કર્ણાટકમાં અઢી-અઢી વર્ષનાં ફોર્મ્યુલા પર પણ ચર્ચા કરી રહી છે. સૂત્રો અનુસાર ડીકે શિવકુમારનું કહેવું છે કે પાર્ટી જો અઢી-અઢી વર્ષની સમજૂતી કરવા ઈચ્છે છે તો પહેલા અઢી વર્ષનું કાર્યકાળ તેમને મળવું જોઈ અને બીજા અઢી વર્ષ સિદ્ધારમૈયાને. ડીકે શિવકુમાર કહે છે કે'કાં તો મને પહેલો કાર્યકાળ આપો અથવા તો મને કંઈ જ નથી જોઈતું. '
બુધવારે થયેલી કેબિનેટની મીટિંગ બાદ IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી હતી કે સરકારે IT હાર્ડવેર બનાવવા માટે 17000 કરોડ રૂરિયાની PLI સ્કીમનાં દ્વિતીય ચરણને મંજૂરી આપી છે. જેના કારણે હવે દેશમાં સસ્તા લેપટોપ, કમ્પ્યુટર જેવા IT હાર્ડવેર બનશે અને આશરે 2 લાખ લોકોને રોજગારી મળી શકશે.કેન્દ્ર સરકાર સતત ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે મહેનત કરી રહી છે. જેની શરૂઆત એપલ ઈંકે જ્યારથી પોતાની પ્રોડક્ટ્સ મોટાપાયે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી થઈ ગઈ છે. હવે સરકાર દેશમાં સસ્તા લેપટોપ, ટેબલેટ અને કમ્પ્યુટર જેવી IT હાર્ડવેરની ચીજો બનાવવાને પ્રોત્સાહન આપી રહી છે. આ કાર્યમાં લગભગ 2 લાખ લોકોને રોજગારી મળી શકે છે. PLI સ્કીમ અંતર્ગત ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરનારી કંપનીઓને તેમના પ્રોડક્શનનાં આધાર પર સરકાર તરફથી વિવિધ ફાયદાઓ મળતાં રહે છે.
#WATCH | When was Digital India started? It was started in 2016. When was Make in India launched? It was started in 2015. Which election took place in 2015? Our party has kept electronic manufacturing on our party’s agenda because it provides employment opportunities. That’s why… pic.twitter.com/gaXmMuaRit
ભારતના વિદેશમંત્રીએ ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, વિદેશ મંત્રી એસ.જયશંકરે ફરી એકવાર યુરોપના દેશોને જડબાતોડ જવાબ આપ્યો છે. વિગતો મુજબ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદીને તેને પેટ્રોલ-ડીઝલમાં કન્વર્ટ કરીને યુરોપમાં વેચવા મુદ્દે યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા જોસેફ બોરેલે ભારત પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેના પર જયશંકરે ફરી એકવાર યુરોપિયન દેશોને જોરદાર જવાબ આપ્યો છે. યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા જોસેફ બોરેલે મંગળવારે કહ્યું કે, ભારત રશિયન તેલને પેટ્રોલ અને ડીઝલમાં કન્વર્ટ કરીને યુરોપિયન દેશોને સતત વેચી રહ્યું છે. જ્યારે યુરોપીયન દેશો રશિયાના ઉર્જા ક્ષેત્ર પર કાર્યવાહી કરી રહ્યા છે અને તેના પર દબાણ લાવી રહ્યા છે. જોસેફ બોરેલે કહ્યું હતું કે, ભારત રશિયા પાસેથી જે તેલ ખરીદી રહ્યું છે તેની સામે કોઈ ફરિયાદ નથી, પરંતુ યુરોપિયન યુનિયને ભારતમાં બનેલા ઉત્પાદનોના મામલામાં પગલાં લેવા જોઈએ.