આજકલ ઝડપી જીવનશૈલીને લીધે આહારનું નિયમન ન જળવાતા ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. એમાંય ચોમાસામાં પાચન મંદ પડતાં આ સમસ્યા વધુ જોવા મળે છે. અપચો, કસમયનું ભોજન, માનસિક ટેન્શન, ઉજગરા જેવા કારણોથી પાચનતંત્રમાં ગડબડ ઉભી થાય છે. પરિણામ સ્વરૂપે હોજરી અને આંતરડામાં વધુ પ્રમાણમાં વાયુ ઉત્પન્ન થવાથી પેટમાં ભાર લાગવા માંડે છે. ગેસ- વાયુને લીધે છાતીમાં ગભરામણ, બેચેની, માથું દુખવું, આફરો જેવી તકલીફો શરૂ થાય છે. જેનાથી દર્દી હેરાન પરેશાન થઈ જાય છે. જાણો આ સમસ્યાથી બચવા શું કરવું.
ધ્યાનમાં રાખવાની બાબતો
ગેસના દર્દીએ સાદો, સુપાચ્ય અને ઓછી માત્રામાં જ આહાર લેવો, ગરમ-ગરમ જ જમવું. વાસી ખોરાક ના લેવો. આખો દિવસ કંઈક ને કંઈક પેટમાં પધરાવાની આદતને તિલાંજલી આપીને દિવસમાં બે ટાઈમ જવાની આદત પાડવી.
તીખો તમતમતો, મસાલેદાર ખોરાક, ઘી, ખાંડ વાલ, વટાણા, ચણા, કોબી, ફૂલાવર, બટાકા, અડદ, ઇંડા અને મેંદાના લોટની વાનગીઓ ન લેવી.
ગેસના દર્દીએ ખોરાકમાં લસણ, હિંગ, અજમો, મેથી, લીલા શાકભાજી અને પચવામાં સરળ આહાર લેવો.
તમાકુ, બીડી, પાન, સિગારેટની આદત હોય તો છોડી દેવી.
ખૂબ જ ગુસ્સમાં, અંશાતિથી ના જમતા. શાંતિથી ધીમે-ધીમે આહારનો સ્વાદ માણતા જમવું. જમતા પહેલાં અને જમ્યા પછી વધુ પ્રમાણમાં પાણી ન પીવું.
ગેસના દર્દીએ કબજિયાત રહેવા દેવી નહિં. કબજિયાત હોય તો રાત્રે સૂતી વખતે ત્રિફળા ચૂર્ણ, અવિપત્તિકરચૂર્ણ, સ્વાદિષ્ટ વિરેચનચૂર્ણ કોઈમાંથી એક આયુર્વેદિક ચિકિત્સકની સલાહ મુજબ લેવું.
કેટલાંક લોકો એમ માને છે કે પૌષ્ટિક પદાર્થ અને ઘી વગેરે ખાવાથી શક્તિ વધે છે, પરંતુ આંતરડા નબળાં હશે તો ભારે પદાર્થનું પાચન ન થવાથી અપચો થઈ ગેસ ઉત્પન્ન થાય છે. એટલે જ પચે તેવું અને પચે તેટલું જ ખાવું
જમીને તરત સુઈ ન જતાં થોડું ચાલવું અને દિવસથી નિદ્રાનો ત્યાગ કરવો.
ગેસના દર્દીને સવારે નરણાં કોઠે પાણી પીવાથી પણ સારો ફાયદો થાય છે.
ગેસનાં દર્દીએ જમ્યાં પછી વધુ પ્રમાણમાં પાણી ન પીવું જોઈએ. જમ્યાં પછી મોળી છાશ અથવા જીરાવાળી છાશ લઈ શકાય.