4 મંત્રીઓની સમિતિ સાથે 3 વખત કિસાન સંઘે કરી હતી બેઠક
સરકારની બાંહેધરી બાદ કિસાન સંઘનું આંદોલન સમેટાયું
ગુજરાતમાં વધુ એક આંદોલન સમેટાયું છે. ગુજરાત સરકારે બાંહેધરી આપતા આજે 'કિસાન સંઘ'નું આંદોલન પૂર્ણ થઇ ગયું છે. મહત્વનું છે કે, કિસાન સંઘે 10થી વધુ માંગણીઓ સાથે ગુજરાત સરકાર સામે આંદોલન કર્યું હતું. ત્યારે ખેડૂતોની માંગણીઓને લઈને ગુજરાત સરકારે બાંહેધરી આપતા અંતે 'કિસાન સંઘ'નું આંદોલન આજે સમેટાઇ ગયું છે. આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરીષદ યોજીને ખેડૂતોના હિતમાં લીધેલા કેટલાક નિર્ણયો પણ જાહેર કર્યા હતા.
રાજ્ય સરકારે સ્વૈચ્છિક લોડ વધારવાનો નિર્ણય લીધો : જીતુ વાઘાણી
જેમાં તેઓએ જણાવ્યું કે, 'સરકાર તમામ પ્રશ્નો માટે હકારાત્મક છે. રાજ્ય સરકારે સ્વૈચ્છિક લોડ વધારવાનો નિર્ણય લીધો છે. અમને દુ:ખ છે કે, કિસાન સંઘે ધરણા પર ઉતરવું પડ્યું.' બોરવેલ પર વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહે છે. ચાલુ ખેતીવાડી વીજ કનેક્શનમાં સિક્યુરિટી ડિપોઝિટ જમા હોય તો નામ બદલવા સીધી લીટીના વારસદારો અથવા આડી લીટીના ખેડૂતો મીનીમમ 300 રૂપિયાનો ચાર્જ લઈને વીજ કનેક્શનમાં નામ બદલી આપવાનો પણ નિર્ણય લેવાયો છે.'
ખેડૂતોની લૉ વોલ્ટેજની સમસ્યાને વીજ કંપની સાથે બેસીને દૂર કરાઇ: જીતુ વાઘાણી
વધુમાં જણાવ્યું કે, 'ખેડૂતોને જે લૉ વોલ્ટેજની સમસ્યા હતી તેની માટે વીજ કંપની સાથે બેસીને સમસ્યા દૂર કરવાનો નિર્ણય કર્યો છે. ખેતીવાડીમાં 657 પરિપત્ર મુજબ જે ખેડૂતોએ લોડ વધાર્યો કર્યો છે કે જે 100 કિલો વોટથી ઉપર છે, તેવા ખેડૂતોને 200ની ટીસી ખેતીવાડી ભાવે મંજૂર કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ડીપ ઇરિગેશન સિસ્ટમમાં જીએસટી નાબૂદ કરવી અને 90 ટકા સહાય આપવાની વાત હતી. તેમાં પણ 85 ટકા સહાય આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. જે વિસ્તારો ડાર્ક ઝોનમાં છે તેમના માટે નિર્ણય કરાયો છે. GST સરકાર ભોગવશે.'
જીતુ વાઘાણીએ કહ્યું કે, 'સરકારની સમિતિના સભ્યોએ કિસાન સંઘ સાથે બેઠક યોજીને આ નિર્ણય કર્યો છે. પ્રશ્નોનો ઉકેલ પણ ચર્ચાથી જ આવે છે.' આમ, બેઠક બાદ કિસાન સંઘનું આંદોલન સમેટાયું હોવાનો જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.