કારગિલ વિજય દિવસ! આજથી 21 વર્ષ પહેલા ભારતીય સેનાએ કારગિલમાં આવેલી તમામ ભારતીય પોસ્ટને બચાવીને પાકિસ્તાની ઘુસણખોરોને તગેડી મુક્યા હતા. આ લોહિયાળ જંગમાં ભારતના 527 જવાનોએ શહાદત વહોરી હતી. આજે આવા જ શહિદના પરિવારની આપણે વાત કરી રહ્યા છીએ જે ગર્ભવતી પત્નીએ યુદ્ધના કપરા કાળમાં પોતાનો પતિ ગુમાવ્યો અને તેમના નવજાત શિશુએ પિતાની છત્રછાયા ગુમાવી. પોતાની શહાદત પછી પણ પરિવારને 21 વર્ષ પછી પણ સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. મળ્યા તો ફક્ત ઠાલા વચનો!
જયારે કારગિલ યુદ્ધ છેડાયું ત્યારે ભારતીય સેનાના જવાન શિવ શંકર પ્રસાદ ગુપ્તા ઔરંગાબાદના રફીગંજ તાલુકાના બંચર બગરા ગામમાં તેમના ઘરે રજા લઇને આવ્યા હતા. આ સમયે તેમની પત્ની રેખાદેવીને 9 મહિનાનો ગર્ભ હતો. કારગિલ યુદ્ધ શરુ થતા જ તેઓ ઘર પરિવારની ચિંતા છોડીને પોતાની માતૃભૂમિ કાજે લડવા નીકળી ગયા. થોડા દિવસમાં ત્રિરંગામાં લપેટેલું તેમનું શબ ઘરે પાછું ફર્યું.
તે સમયે માતાના ગર્ભમાં રહેતો રાહુલ આજે 12માં ધોરણનો વિદ્યાર્થી છે. પોતાના પિતાની શહાદતના સમયે સરકારે પરિવારને મદદ કરવાના જે વચનો આપ્યા હતા તે મદદથી પરિવાર આજે પણ વંચિત છે.
દુનિયામાં જન્મ લીધો તે પહેલા જ પિતાની છત્રછાયા ગુમાવી
પિતા શિવ શંકર પ્રસાદ ગુપ્તા શહિદ થયા તેના 11 દિવસ પછી રાહુલનો જન્મ થયો હતો. રેખા દેવીએ પતિની શહાદતનો વિષાદ પચાવીને બાળકોમાં દેશસેવા કરવા માટેના સંસ્કારોનું સિંચન કર્યું. રાહુલ અત્યારે 12માં ધોરણના વિદ્યાર્થી છે. તેમની મોટી બહેન નિશા કહે છે કે જયારે તેમના પિતા શહિદ થયા ત્યારે તેમની ઉંમર દોઢ વર્ષની હતી. તેમને પિતાનો ચહેરો તો યાદ નથી પણ તેમની મા જયારે બંને સંતાનોને પિતાની વીરતાના કિસ્સા સંભળાવે છે ત્યારે તેમની ગાથા સાંભળીને તેમના રૂવાંટા ઉભા થઇ જાય છે.
દેશ સેવાનું લક્ષ્ય રાખ્યું છે સંતાનોએ
રાહુલ રાજસ્થાનના કોટામાં રહીને IITની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરે છે. તેની બહેન પટણામાં રહીને મેડિકલની તૈયારી કરી રહી છે. ભાઈ બહેન બંને એન્જીનિયર અને ડોક્ટર બનીને દેશની સેવા કરવા માંગે છે.
રાજ્ય સરકારની ઉપેક્ષાથી રોષ
દેશ માટે બલિદાન આપનાર શિવ શંકર ગુપ્તાના પરિવારને સરકાર માટે ખૂબ રોષ છે. રાહુલ કહે છે કે પિતાની શહાદત પછી રાજ્ય સરકારે મોટી મોટી જાહેરાતો અને મદદના ઠાલા વચનો આપ્યા હતા જયારે વાસ્તવિકતા એ છે કે આ બધા આશ્વાસનો કાગળ ઉપર રહી ગયા. તેમને ના તો સરકારી નોકરી મળી કે ના તો શહેરમાં રહેવા માટે જમીન.