કંગના રનૌતે પોતાનો પાસપોર્ટ રિન્યૂ કરાવવા માટે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. જાણો શું છે મામલો.
કંગના હમેશાં વિવાદોમાં ઘેરાયેલી રહે છે
રીઝનલ પાસપોર્ટ ઓફિસે કંગનાનો પાસપોર્ટ રિન્યૂ કરવાનો ઈન્કાર કર્યો
રાજદ્રોહના આરોપને કારણે કંગનાની મુશ્કેલી વધી
બોલિવૂડની 'પંગા ક્વીન' કંગના હમેશાં ચર્ચામાં રહે છે. ક્યારેક તેના વિવાદિત નિવેદનને કારણે, તો ક્યારેક ફિલ્મોના વિવાદને કારણે કંગના વિવાદોમાં રહે છે. તેની ફિલ્મોથી લઈને તેના અંગત જીવન સુધી તે વિવાદોમાં રહી છે. હાલમાં જ અભિનેત્રી હિમાચલ પ્રદેશથી મુંબઇ પહોંચી હતી, જ્યાં તેણે બીએમસી દ્વારા ધ્વસ્ત કરાયેલી તેની ઓફિસની મુલાકાત લીધી હતી. હવે કંગના એક બીજા કારણસર ચર્ચામાં છે. આ વખતે તેના ચર્ચામાં રહેવાનું કારણ તેનો પાસપોર્ટ બની ગયો છે. હકીકતમાં અભિનેત્રીએ પોતાનો પાસપોર્ટ રિન્યૂ કરવા માટે બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
રીઝનલ પાસપોર્ટ ઓફિસે કંગનાના પાસપોના રિન્યૂઅલ અંગે વાંધો ઉઠાવ્યો છે. તેથી તેણે આ કામ માટે બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. રીઝનલ પાસપોર્ટ ઓફિસે રાજદ્રોહના કેસના આધારે કંગનાના પાસપોર્ટને રિન્યૂ કરવાની ના પાડી દીધી છે. જે બાદ કંગનાને બોમ્બે હાઇકોર્ટની મદદ લેવી પડી. કંગનાનો પાસપોર્ટ સપ્ટેમ્બર 2021માં એક્સપાયર થવા જઇ રહ્યો છે, તેથી તેણે વહેલામાં વહેલી તકે પોતાનો પાસપોર્ટ રિન્યૂ કરવો પડશે.
શૂટિંગના કારણે તેને ટૂંક સમયમાં બુડાપેસ્ટ જવું પડશે. આવી સ્થિતિમાં કંગના પાસપોર્ટને કારણે તેના કામમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી કરવા માંગતી નથી. એમ પણ કંગનાને ઘણીવાર ફિલ્મોની શૂટિંગ માટે અને અન્ય કાર્યક્રમોના ભાગ લેવા વિદેશ પ્રવાસ કરવો પડતો હોય છે. આવી સ્થિતિમાં તેના માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે તેનો પાસપોર્ટને જલદી રિન્યૂ કરાવે. તમને જણાવી દઈએ કે, મુંબઈની બાંદ્રા પોલીસે દેશદ્રોહ અને લોકોમાં નફરત ફેલાવવા બદલ કંગના સામે એફઆઈઆર નોંધી હતી. આ એફઆઈઆરને આધારે હવે પાસપોર્ટ વિભાગે તેનો પાસપોર્ટ રિન્યૂ કરવાનો ઇનકાર કરી દીધો છે.
કંગના રાનૌતે સોમવારે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ આ મામલે અરજી કરી હતી, જેની સુનાવણી મંગળવારે એટલે કે આજે થવાની છે. કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ જણાવ્યું હતું કે કંગના 15 જૂનથી 10 ઓગસ્ટ દરમિયાન બુડાપેસ્ટ અને હંગેરીની યાત્રા પર જશે. તેની આગામી ફિલ્મ 'ધાકડ'ના બીજા શેડ્યૂલનું શૂટિંગ થવાનું બાકી છે.