વ્યાજના વિષ ચક્કરમાં ઘણા પરિવારો બરબાદ થઇ રહ્યા છે અને વ્યાજ ખોરો બેફામ બની રહ્યા છે
મૂળ જૂનાગઢના બિલ્ડરે રાજકોટમાં કર્યો આપઘાતનો પ્રયાસ
વ્યાજખોરોનો હતો ત્રાસ
ગુજરાત માં વ્યાજખોરનો આંતક સતત વધી રહ્યો છે.ગરીબ અને મજબૂર લોકો વ્યાજખોરના ચુગલ માં ફસાય છે.વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો શિકાર બનતો જાય છે.વ્યાજખોરના ત્રાસથી લોકો આપઘાત કરી લે છે અથવા તો ઘર છોડી દેતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ઉંચા વ્યાજએ પૈસાનું ધિરાણ કરીને વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતા હોય છે. જુનાગઢ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધુ એક વખત સામે આવ્યો છે.મૂળ જૂનાગઢના બિલ્ડરે (હાલ રાજકોટમાં) વ્યાજખોરોના સતત ટોર્ચરથી કંટાળી આપઘાતનો પ્રયાસ કરી લેતા ચકચાર મચી છે.
લોકડાઉનમાં પ્રોજેક્ટ ન વેચાતા વ્યાજે રૂપિયા લીધા હતા
અમિત મારવાડિયા નામના બિલ્ડરે તેણે ધંધાર્થે વ્યાજે નાણા લીધા હતા કારણ કે લોકડાઉનમાં પ્રોજેક્ટ ન વેચાતા તેણે દેવું કરી ધંધો આગળ વધાવવાનું સપનું જોયું હતું. અને પછી રૂપિયા વ્યાજ સીખે પરત કેરી દે તેવુ વિચાર્યું હતું. પણ સામે વ્યાજના ખપ્પરમા હોમાઈ ચૂકેલા આ યુવાનને નહોતી ખબર કે મોટી રકમ મોટા વ્યાજે લેતા તેણે ભરપાઈ કરવામાં પરસેવો છૂટી જશે. અને કરમની કઠણાઇથી આવું જ બન્યું. વ્યાજ સાથે 25 લાખથી વધુની રકમનું દેવું થઈ ગયું જે આ નાના બિલ્ડર માટે નેવાના પાણી મોભારે ચડાવવા સમાન હતું.
છેલ્લા દોઢ વર્ષથી બિલ્ડર રાજકોટમાં રહેતા હતા
એક તરફ પ્રોજેકટમાં ધારી સફળતા ન મળી તો બીજી તરફ દેવું ભરપાઈ ન થતાં વ્યાજ ખોરો સતત ટૉર્ચર કરી રહ્યા હતા. તે પરિવાર સાથે વ્યાજખોરની ધમકી બાદ જૂનાગઢ છોડીને ચાલ્યા ગયા હતા અને રાજકોટમાં રહેવા લાગ્યા હતા. દોઢ વર્ષ જેવો સમય પણ થઈ ગયો હતો. પણ માથે દેવું લઈ ફરતા અમિત મારવાડિયાને ફરી પહેલા જેવી જ સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો. વ્યાજખોરોએ જુનાગઢ સ્થિતિ બિલ્ડિંગ અને ઘરમાં ઘૂસી તમામ સામાન અને ઘર વખરી પણ વેચી મારી અને યુવક અને તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.
વ્યાજ સાથે 25 લાખથી વધુની રકમનું દેવું થઈ ગયું હતું
વેપારી પાસે ન તો રૂપિયા હતા, ન ચૂકવવાનો કોઈ પ્લાન આથી ના છૂટકે જૂનાગઢના બિલ્ડરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ બિલ્ડરને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા.ટૂંકી સારવાર બાદ બિલ્ડરને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. તો સામે પોલીસે પણ માનવતા ન દાખવતા તેણે સિવિલમાં એન્ટ્રી પાડી પોલીસે ફરિયાદ માટે જૂનાગઢ જવા કહ્યું હતું કારણ કે વ્યાજખોરો જુનાગઢ પંથકના હતા. અને બિલ્ડર પણ પોતે જુનાગઢનો રહેવાસી હતો.
પોલીસ જરૂરી મદદ કરે તેવી માંગ
હમેશા વ્યાજખોરો સામે મૂંગા બની બેઠેલા તંત્ર પાસે તે મદદ માટે ગુહાર લગાવી રહ્યો છે. સમયની માંગ કરી રહ્યો છે જેથી ધંધો કરી મૂડી પરત કરી શકે પણ ન તો તંત્રને આ યુવકની દશા દેખાઈ રહી છે ન તો વ્યાજખોરો પર કોઈ કડક એક્શન લેવાઈ રહ્યા છે. હાલ તો ટૂંકી સારવાર બાદ બિલ્ડરને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. પોલીસ અને તંત્ર આ યુવાન બિલ્ડરને વ્યાજખોરોના ચંગુલમાંથી બચાવે તેવી પરિવાર આશા રાખી રહ્યો છે.પણ કોઈ વાતનો
VTV ગુજરાતીના સળગતા સવાલ
વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કેમ નથી થતી?
વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી સામે પગલા કેમ નથી લેવાતા?
વ્યાજ બાદ પણ વ્યાજખોરો લાલચ કેમ નથી છોડતા?
વ્યાજખોરોને કોણ છાવરે છે?
સમાજમાંથી વ્યાજખોરોનું દુષણ ક્યારે થશે દૂર?
વ્યાજખોરોની ત્રાસ આપવાની હિંમત કેમ વધી રહી છે?
લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવનાર વ્યાજખોરો પર કડક કાર્યવાહી કેમ નથી કરાતી?
ક્યાં સુધી વ્યાજખોરો લોકોનું શોષણ કરતા રહેશે?
મદદના નામે મોટા પ્રમાણમાં વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે તવાઈ ક્યારે?
શું લોકોએ પણ આવા વ્યાજખોરોથી ચેતવાની જરૂર નથી?
પોલીસે મજબૂરીનો ફાયદો ઉઠાવતા વ્યાજખોરોને પાઠ ન ભણાવવો જોઈએ?