રાજ્યસભાની બે બેઠકો માટેની પેટાચૂંટણીના મતદાન દરમિયાન નવો રાજકીય વળાંક આવ્યો છે. ચૂંટણીમાં કોંગ્રેસના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું અને ત્યાર બાદ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું. રાજીનામું આપતી વખતે બન્નેએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને કોંગ્રેસે તેમને સન્માન ન આપ્યું હોવાનો આક્ષેપ કર્યો હતું.
જોકે, આ મુદ્દે કોંગ્રેસનું કહેવું છે કે, બન્ને ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું એટલે તેઓ ગેરલાયક જ ઠરે છે. માટે તેનું રાજીનામું માત્ર નાટક છે. કોંગ્રેસ આ બન્નેને ગેરલાયક ઠેરવવા માટે કાયદાકીય લડાઈ લડશે અને તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાવશે. તો કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોના રાજીનામા પડતા ભાજપે કોંગ્રેસની મજાક ઉડાવી હતી અને કોંગ્રેસની આ પરંપરા હોવાનું જણાવ્યું હતું.
અલ્પેશ ઠાકોરના રાજીનામાંને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી અને તેમના નિર્ણયને વખોડ્યો હતો. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, અલ્પેશ ઠાકોર પર ટિપ્પણી નહીં કરૂં. પરંતુ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, કોંગ્રેસે ટિકિટ આપી અને જીત્યા. સતત પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા રહ્યા. અમારી સાથે રહીને ભાજપનો વિરોધ કરતા હતા હવે એ જ પાર્ટીમાં જોડાઇ ગયા. જોકે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બન્ને ઉમેદવારોની જીત થઇ છે.
મહત્વનું છે કે, અલ્પેશ ઠાકોરને રાજ્ય સરકારમાં મંત્રી પદ મળી શકે છે. અલ્પેશ ઠાકોરને ફરીથી વિધાનસભાની ચૂંટણી લડવી પડશે. રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર ધારાસભ્યની ચૂંટણી લડી શકે છે. હાલ ભાજપમાં અલ્પેશ ઠાકોરને સંગઠનને લગતી જવાબદારી મળી શકે છે. ત્યારે હવે કોંગ્રેસને ઉત્તરગુજરાતમાં અલ્પેશ ઠાકોરનો વિકલ્પ તૈયાર કરવો પડશે.