જમ્મૂ-કાશ્મીરમાં ધારા 370 હટાવ્યા બાદ આજે જુમાની નમાજને લઇને સુરક્ષાદળો દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. શ્રીનગરની જામિયા મસ્જિદ સહિત મોટી મસ્જિદમાં નમાજ અદા કરવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને પોતાના મહોલ્લામાં આવેલ મસ્જિદમાં નમાજ અદા કરવા અપીલ કરવામાં આવી છે.
આ વચ્ચે ગુરૂવારના રોજ સાંજે પ્રતિબંધ દૂર કરવામાં આવતાં કાશ્મીરના કેટલાંક વિસ્તારોમાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. કાશ્મીરના નાતીપોરા, નોવગામ, બેમિનામાં ગુરૂવારના રોજ પ્રદર્શનકારીઓ અને સુરક્ષાબળ વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ પર કાબુ મેળવવા ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યા હતા.
NSA બાદ શ્રીનગરની મુલાકાતે સેના પ્રમુખ
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ બાદ સેના પ્રમુખ કલમ 370 હટાવ્યા બાદ ઘાટીની મુલાકાત લેનાર મોટા અધિકારી હશે. ઉલ્લેખનીય છે કે આજે શુક્રવાર હોય કાશ્મીરના લોકો નમાજ માટે બહાર નીકળશે. સેના પ્રમુખ બિપિન રાવત આજે સુરક્ષાની સમીક્ષા કરવા શ્રીનગર પહોંચશે. સેના પ્રમુખનો હેતુ અહીના લોકો સાથે વાતચીત કરવાનું તેમજ આગળની રણનીતિ પર કામ કરવાનું છે.
જ્યારે બીજી તરફ ઘાટીમાં સતત પાકિસ્તાન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાકિસ્તાન નજર ચૂકવવા માટે સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે. ઘાટીમાં વાતાવરણ ડહોળવા માટે ષડયંત્ર કરી રહ્યું છે. આ બધાની વચ્ચે સેના પ્રમુખ બિપિન રાવત આજે શ્રીનગરની મુલાકાત લેશે.