વલસાડ: ગુજરાતમાં જળસંચયની પૂર્ણાહૂતી યોજીને સરકારે શાબાશી તો લઈ લીધી પરંતુ મુખ્યમંત્રી દ્વારા કરાયેલ વલસાડમાં તળાવ ઉંડાઈની કામગીરીમાં માત્ર શો બાજી થઈ હોવાનો ખુલાસો થયો છે અને આ ચોંકાવનાર ખુલાસો VTVના રિયાલિટી ચેક દરમિયાન થયો છે.
પાણીની સમસ્યા નિવારવા માટે વાપી તાલુકાના કરાયા ગામમાં 27મેએ મુખ્યમંત્રીએ તળાવને ઉંડુ કરવા માટે કરેલ ખાતમુર્હૂત એક માત્ર નાટક થયું હોવાનું સામે આવ્યું છે. જયાં મુખ્યમંત્રીના ગયા પછી આ તળાવની કામગીરી કેટલી ઝડપી થઈ તે અંગે vtvએ રિયાલિટી ચેક કર્યુ હતું જેમાં વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી હતી.
તળાવ ઉંડું કરવા માટે મુખ્યમંત્રી આવ્યા ત્યારે 20થી વધુ JCB મશીન મંગાવાયા હતા અને મુખ્યમંત્રીના ગયા પછી તળાવમાં માત્ર 1 JCBથી ખોદકામ કરાયું હતું. જોકે હજુ સુધી તળાવની કામગીરી માત્ર 8 ટકા થઇ છે.
છેલ્લા બે મહિના પહેલાથી આ જગ્યા પર કોન્ટ્રાક્ટર દ્વારા લીઝ પર તળાવને ઉંડુ કરવાની કામગીરી ચાલતી હતી. તે દરમિયાન સરકારને રોયલ્ટીની આવક થતી હતી. પરંતુ જળસંચય અંતર્ગત આ કોન્ટ્રાક્ટરે રોયલ્ટી આપવાનું બંધ કર્યુ હતું અને અત્યારે 700 રૂપિયાના ટ્રકના ભાવે માટી બારોબાર વેચી રહ્યા છે. જળસંચય અભિયાન હેઠળ માટીચોરીનું મોટુ કૌભાંડ ચાલતું હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે VTVના રિયાલિટી ચેકમાં તળાવને મામલે બીજો એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કોન્ટ્રાક્ટની લીઝ 27મેએ પૂર્ણ થઈ છે. તો 31મેએ સુજલામ સુફલામ યોજનાની પૂર્ણાહુતી થઈ છે. ત્યારે અહીં સવાલ થાય છે કે કોન્ટ્રાક્ટર કઈ રીતે લીઝ વિના માટી વેચી રહ્યો છે? 700 રૂપિયાના ભાવે લાખોની માટી વેંચી રહી છે. અભિયાનમાં કરાયા ગામના સરપંચની મીલીભગત હોવાની ગંધ આવી છે.
આપને જણાવી દઇએ કે VTVના રિયાલિટી ચેકમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા હતા ત્યારે ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ પણ સ્વીકાર્યું કે કરાયાનું આ તળાવની કામગીરી અગાઉથી ચાલતી હતી. જળસંચયના નામે એક તરખટ રચીને ગરીબ આદિવાસીઓની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ત્યારે આગામી ટૂંક સમયમાં વરસાદના આગમન બાદ આ તળાવ સરકારી ચોપડે સંપૂર્ણ ખોદાઈ જશે અને કરાયાનું તળાવ ભ્રષ્ટાચારમાં ગરકાવ થઈ જશે. ત્યારે VTVના રિયાલિટી ચેકથી તંત્ર જાગશે કે નહીં તે આવનાર સમય જ બતાવશે.