ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ડખો સામે આવ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના નિવેદન પર જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, શિસ્તના મુદ્દે બાંધછોડ નહીં ચાલે.
ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધ્યો
લલિત વસોયાના નિવેદન પર જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા
શિસ્તના મુદ્દે બાંધછોડ નહીં ચાલે: જગદીશ ઠાકોર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રત્યે ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની નારાજગી ફરી એકવાર સામે આવી છે. ધોરાજી બેઠકના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દે મૌન તોડતા મીડિયા સમક્ષ પાર્ટી સાથેની નારાજગીના મુદ્દા વ્યક્ત કર્યાં હતા. આ કારણે પ્રદેશ પાર્ટીમાં વિવાદ સપાટી પર જોવા મળ્યો છે. લલિત વસોયાના નિવેદન પર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે.
જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા
કોંગ્રેસના આંતરિક વિખવાદો મુદ્દે જગદીશ ઠાકોરે જણાવ્યું છે કે, કોંગ્રેસમાં કેટલાક મિત્રોને મીડિયા સમક્ષ વાત કરવાની ટેવ પડી ગઈ છે. એવા મિત્રોને વિનંતી કરું છું કે કઈ પણ વાત હોય તો આવો સામે. આંતરિક પ્રશ્નોની ચર્ચા માટે પક્ષનું નેતૃત્વ હંમેશા તૈયાર જ છે. શિસ્તના મુદ્દે બાંધછોડ નહીં ચાલે.
'આવી માનસિકતામાંથી બહાર આવવું જોઈએ'
આ ઉપરાંત પક્ષના પૂર્વ ધારાસભ્યોની નારાજગી બાબતે પણ તેમણે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે, કોઈ કહે એ રીતે જ પક્ષ ચાલવો જોઈએ તેવી માનસિકતામાંથી પક્ષના લોકોએ બહાર આવવું જોઈએ.
શું છે સમગ્ર મામલો?
ગતરોજ એવા અહેવાલો મીડિયા પ્રકાશિત થયા હતા કે, ગુજરાત કોંગ્રેસમાં ફરી આંતરિક કલહ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં ફરી વિરોધનાં સંકેત જોવા મળી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પક્ષથી નારાજ હોવાના સૂર હાલ તો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસથી નારાજ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત સંગઠનમાં વિલંબથી ઘણાં કોંગ્રેસીઓ નારાજ છે.
કાર્યકરોની વાત સંગઠન કે હાઇકમાન્ડ સુધી પહોચતી નથીઃ વસોયા
આ અંગે VTV ન્યૂઝ દ્વારા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. VTV વાતચીતમાં કોંગ્રેસના ધોરાજી બેઠકના પૂર્વ ધારાસભ્યએ કહ્યું હતું કે, કોઇ નારાજગી તો નથી પણ પાર્ટીના કાર્યકરોની વાત હાઇકમાન્ડ સુધી પહોચાડવાનો પ્રયાસ છે. સૌરાષ્ટ્રના સિનિયર નેતાઓ ભેગા મળીને હાઇકમાન્ડને રુબરુ વાત કરશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, આમ પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે તો આગામી ચૂંટણીમા પાર્ટીએ કડકાઇ રીતે પ્રયાસો કરવા જોઇએ. જોકે, લલિત વસોયાએ માત્ર મૌન તોડ્યું હતું, ખુલીને વાત કરવામાં થોડો ખચકાટ અનુભવ્યો હતો અને સમય આવશે ત્યારે જણાવીશું તેમ કહ્યું હતું. તેમની વાત પરથી જાણવા મળ્યું હતું કે, સંગઠન મજબૂત નથી, કાર્યકરોની વાત સંગઠન કે હાઇકમાન્ડ સુધી પહોચતી નથી કે કોઇ સાંભળતુ નથી અને ચૂંટણીને લઇ હવે કોંગ્રેસે ગંભીર થવાની જરુર છે.
શું કહ્યું હતું કોંગ્રેસના MLA કિરીટ પટેલે?
સમગ્ર મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, શાસક પક્ષ દ્વારા જે આક્ષેપ કરવા હોય તે કરી શકે. હાલનાં કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષથી ઘણી નારાજગી છે. પક્ષ દ્વારા ઝડપી કોઈ નિર્ણય લેવાતા નથી અમે ત્રણ ધારાસભ્યોએ પક્ષ વિરોધી કામ કરનાર સામે અમે લખીને આપ્યું છે. તો પણ તેઓની સામે પક્ષ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. પક્ષ વિરોધી કાર્યવાહિ કરનાર સામે ઘણા લોકોએ લખીને આપ્યું છે તેમજ મૌખિક વાત પણ કરી છે. ત્યારે અમે લેખિતમાં જગદીશ ઠાકોરને આપ્યું છે અને અમિત ચાવડાને પણ લખીને આપ્યું છે. જો હજુ પણ તેઓની સામે પગલા લેવામાં નહી આવે તો અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું. ત્યારે ધારાસભ્યોને હરાવવાની કામગીરી કરી છે તેમજ પક્ષ વિરોધી કામગીરી કરી છે તેઓની સામે પગલા નહીં લેવાય તો અમે અમારી રીતે નિર્ણય લઈશું. કિરીટ પટેલની જેમ અન્ય ધારાસભ્યોમાં પણ નારાજગી છે તેવું કિરીટ પટેલે જણાવ્યું હતું.