દેશની સંપત્તિ પર દેશના કરદાતાઓને પ્રથમ અધિકાર:રાઠવા
જગદીશ ઠાકોરે દેશની સંપત્તિમાં પહેલો અધિકાર લઘુમતિનો હોવાની કરી હતી વાત
દેશની સંપત્તિમાં લઘુમતિનો અધિકાર હોવાનું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપતા વિરોધનો સૂર ઉઠ્યો છે. આ નિવેદનનેકારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે એકબીજા પર પલટવાર કર્યા હતા, ત્યારબાદ વિરોધ પક્ષા નેતા સુખરામ રાઠવાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે નિવેદન આપતા કહ્યું કે, દેશની સંપત્તિ પર તમામ લોકોનો અધિકાર છે. પ્રથમ અધિકાર દેશના કરદાતાઓનો છે. આમ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પર પલટવાર કરતાં રાજકીય ચર્ચાએ જોર પકડયું હતું.
દેશની સંપત્તિ પર તમામ લોકોનો અધિકાર-સુખરામ રાઠવા
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી સુખરામ રાઠવા આજે વલસાડ જિલ્લાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ગુજરાતમાં 300 યુનિટ મફતમાં વીજળી આપશે તેવા કરેલા લોભાનામાં વાયદા મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ અંગે તેમણે જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ આવી રાજનીતિ કરવામાં માહેર છે. આવી મફતની લોભામણી જાહેરાતો દ્વારા કેજરીવાલ ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં પોતે મત મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમ જણાવી આકરા પ્રહારો કર્યા હતા.
જગદીશ ઠાકોરનું નિવેદન કયા સંજોગોમાં આવ્યું, તે મને ખ્યાલ નથી: રાઠવા
મફતની રાજનીતિ દેશના અર્થતંત્રને માટે યોગ્ય નથી અને આવી રાજનીતિથી શ્રીલંકા જેવી હાલત થાય છે તેવું જણાવ્યું હતું. વધુમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના એક જૂના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર લઘુમતી કોમનો છે. આવું કોંગ્રેસ માને છે. આ નિવેદન મુદ્દે સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે.દેશની સંપત્તિ પર તમામ કોમનો અધિકાર છે અને દેશના કરદાતાઓનો પહેલો અધિકાર છે તેવું જણાવ્યું હતું અને જો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આવું નિવેદન આપ્યું હોય તો હવે તેઓએ કયા આધારે આ નિવેદન આપ્યું છે?? તે જગદીશ ઠાકોરને જ પૂછવું જોઈએ આવું જણાવી અને વિવાદથી પીછો છોડાવવા માટેના પ્રયાસ કર્યા હતા. બીજી તરફ કોંગ્રેસના જ દિગ્ગજ નેતાના આ નિવેદનને લઈને સવાલો ઊભા થયા છે.