ઇન્કમટેક્સ વિભાગે પહેલી વખત કોઇપણ પક્ષના ખજાનચીને ધનસંગ્રહના મામલે નોટિસ પાઠવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સમન્સ મોકલ્યા બાદ ઇન્કમટેક્સવિભાગે કોંગ્રેસના કોષાધ્યક્ષ અહેમદ પટેલને કથિત રીતે જાહેર અઘોષિત પાર્ટી સંગ્રહ અને ચૂંટણી ખર્ચ માટે 550 કરોડ રૂપિયાથી વધારે ધનરાશિ પર નોટિસ પાઠવવામાં આવી છે.
550 કરોડ ધનસંગ્રહ મામલે IT વિભાગે અહેમદ પટેલને પાઠવ્યું સમન્સ
ઇન્કમટેક્સ વિભાગે પહેલી વખત ખજાનચીને ધનસંગ્રહના મામલે નોટિસ પાઠવી
કોંગ્રેસના નેતા અહેમદ પટેલે સમન્સ અંગે પુષ્ટિ કરી
2 એપ્રિલ 2019ના રોજ IT વિભાગે મધ્ય પ્રદેશના કેટલાંક સ્થાનો સહિત 52 જગ્યા પર દરોડા પાડ્યાં હતા. ત્યારબાદ ઓક્ટોબર 2019 અને ફેબ્રુઆરી 2020માં હૈદરાબાદ, વિજયવાડા અને અન્ય જગ્યા પર દરોડાની કાર્યવાહી કરી હતી. આ દરોડા બાદ આ સમન્સ જારી કરવામાં આવ્યું છે.
એપ્રિલ 2019 અને ઓક્ટોબર 2019ના દરોડામાં અલગ-અલગ શહેરોમાં કોંગ્રેસ પાર્ટીના છ નેતાઓના ઠેકાણમાં તપાસ કરવામાં આવી હતી. 6 ફેબ્રુઆરી, 2020ના રોજ 40 ઠેકાણામાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સૌથી વધારે ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની મેઘા એન્જિનિયરીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ સાથે જોડાયેલ હતી.
11 ફેબ્રુઆરીના રોજ અહેમદ પટેલને તેમની વ્યક્તિગત હાજરીને લઇને સમન્સ પાઠવવામાં આવ્યું. જેમાં તેમને 14 ફેબ્રુઆરીએ હાજર રહેવા જણાવામાં આવ્યું હતું. અહેમદ પટેલને બીજુ સમન્સ પાઠવવામાં આવ્યું છે.
કોંગ્રેસના નેતા અહેમદ પટેલે સમન્સ અંગે પુષ્ટિ કરતાં મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે તેઓ બિમાર છે અને સંસદીય કામકાજમાં વ્યસ્ત છે. જ્યારે બે માંથી એક સમન્સ તેમના સાંસદવાળા મેઇલમાં મોકલવામાં આવ્યું હતું. અહેમદ પટેલે જણાવ્યું કે આ પ્રકારનું દાન દરેક રાજકીય પક્ષને મળે છે અને જલ્દી જ સંસદના સત્ર બાદ સમન્સનો જવાબ પાઠવીશ.
નાણા મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે કોંગ્રેસ કોષાઅધ્યક્ષને સમન્સ મોકલવામાં આવ્યું કારણ કે પાર્ટીએ તેમની સમક્ષ માત્ર નાના અધિકારીઓને મોકલ્યા હતા, જે ઓક્ટોબર 2019માં પાર્ટીને મોકલવામાં આવેલા પહેલા સમન્સનો જવાબ આપવા આવ્યાં હતા.