વડોદરાઃ 14 માસની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બન્યા બાદ રાજયમાં પરપ્રાંતિયો પર હુમલાની અફવાઓ ફેલાઈ રહી છે. જેના વિરોધમાં વડોદરા ઉત્તર ભારત સંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.
ઉત્તર ભારતીય સંઘોએ રજૂઆત કરી હતી કે ઉત્તર ભારતીયો પોતાનો જીવ બચાવવા હિજરત કરી રહ્યા છે. ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી સરકારની છે. ઉત્તર ભારતના હિજરત કરવાથી ઉધોગોને અને લોકોના જીવન પર મોટી અસર થઈ રહી છે.
આ મુદ્દે કોર્પોરેશનના વિપક્ષના નેતાએ ઉત્તર ભારતીય પર થઈ રહેલા હુમલા માટે સરકારને જવાબદાર ઠેરવી રાજીનામુ માંગ્યું હતું. રજૂઆતને લઈને કલેક્ટર દ્વારા પણ યોગ્ય પ્રતિભાવો આપવામાં આવ્યા હતા અને સુરક્ષાની ખાતરી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બિનગુજરાતી ઉપર થયેલા હુમલાના પગલે યુપી અને બિહારથી આવેલા એક કામ કરતા કારીગરો ભયના માહોલ નીચે જીવી રહ્યા છે. વડોદરાની મકરપુરા જીઆઇડીસી 2500 જેટલા યુનિટમાં કામ કરતા દોઢ લાખ જેટલા પરપ્રાંતીઓ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. મોડી રાત સુધી કામ કરવાનું બંધ કરતા ફેક્ટરીઓના કામ અટવાઈ પડ્યા છે.
ગુજરાતમાં પરપ્રાંતીઓ ના મુદ્દે ઊભા થયેલા વિવાદમાં તેની અસર થઇ રહી છે. વડોદરા શહેર અને જિલ્લામાં એક બે ઘટનાઓને બાદ કરતા શાંતિ જળવાઇ રહી છે. તેમ છતાં રાજ્યના જે જે વિસ્તારોમાં આવી ઘટનાઓ બની છે તેના કારણે બિન ગુજરાતી લોકોમાં ભયનો માહોલ છે.