રેલવેમાં મુસાફરી કરવા ઇચ્છતા લોકો આ એક નિયમ ખાસ ધ્યાનમાં રાખે, ટિકિટ ઓનલાઇન બુક કરવી હશે તો લાગશે કામ
રેલેવએ ટિકિટ બુકિંગ માટે બદલ્યા નિયમો
ઓનલાઇન ટિકિટ બુક કરવા નિયમો બદલ્યા
આ નિયમો થકી ટિકિટ બુક કરવાની રહેશે
શું તમે ઓનલાઇન ટ્રેનની ટિકિટ બુક કરાવો છો ? તો આ સમાચાર ખાસ વાંચજો, કારણ કે હવેથી ઓનલાઇન ટિકિટ બુક કરાવવાના નિયમોમાં બદલાવ આવ્યો છે. જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો ટિકિટ બુક થઇ શકશે નહીં. જી, હા હવે ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) થી ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે તમારે પહેલા મોબાઈલ નંબર અને ઈમેઈલ વેરીફાઈ કરવું પડશે, તે પછી જ તમે ટિકિટ લઈ શકશો. આ નિયમ (ઓનલાઈન રેલ ટિકિટ બુકિંગ નિયમ) એવા મુસાફરો માટે છે જેમણે લાંબા સમયથી ટિકિટ ખરીદી નથી. જો કે આ કામ કરતા 50 થી 60 સેકન્ડ જ લાગશે.
રેલવેનો નવો નિયમ
રેલવેએ એવા મુસાફરો માટે નવા નિયમો બનાવ્યા છે જેમણે કોરોના સંક્રમણને કારણે લાંબા સમયથી ટિકિટ બુક નથી કરાવી. આવા લોકોએ IRCTC પોર્ટલ પરથી ટિકિટ ખરીદવા માટે પહેલા તેમના મોબાઈલ નંબર અને ઈમેલને વેરિફાઈ કરવું પડશે. તે પછી જ તમને ટિકિટ મળશે. જો કે, જે મુસાફરોએ નિયમિત રીતે ટિકિટ બુક કરાવે છે તેઓએ આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં.
ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા
IRCTC ભારતીય રેલ્વે હેઠળ ટિકિટનું ઓનલાઈન (ઈ-ટિકિટ) વેચાણ કરે છે. ટિકિટ માટે મુસાફરો આ પોર્ટલ પર લોગીન અને પાસવર્ડ દાખલ કરવાનો રહે છે. અને પછી ઓનલાઈન બુકિંગનો લાભ લઇ શકાય છે. લોગિન પાસવર્ડ બનાવવા માટે, તમારે ઈમેલ અને ફોન નંબર આપવો પડશે. એટલે કે તમે ઈમેલ અને ફોન નંબર વેરીફાઈ કર્યા પછી જ ટિકિટ બુક કરી શકો છો. IRCTCના દિલ્હી હેડક્વાર્ટરના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેર અને તે પહેલા પોર્ટલ પર નિષ્ક્રિય રહેલા ખાતાઓની ખાતરી કરવા માટે મોબાઇલ નંબર અને ઇમેલ વેરિફિકેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ રીતે વેરિફિકેશન થશે
જ્યારે તમે IRCTC પોર્ટલ પર લોગિન કરો છો ત્યારે વેરિફિકેશન વિન્ડો ખુલે છે.
તેના પર પહેલેથી જ નોંધાયેલ ઈમેલ અને મોબાઈલ નંબર દાખલ કરો.
હવે ડાબી બાજુ એડિટિંગ અને જમણી બાજુ વેરિફિકેશનનો વિકલ્પ છે.
એડિટીંગ વિકલ્પ પસંદ કરીને તમે પોતાનો નંબર અથવા ઇમેઇલ બદલી શકો છો.
વેરિફિકેશનનો વિકલ્પ પસંદ કરવા પર, તમારા નંબર પર એક OTP (વન ટાઇમ પાસવર્ડ) આવશે.
OTP દાખલ કરવાથી તમારો મોબાઈલ નંબર ચકાસવામાં આવે છે.
એ જ રીતે ઈમેલ માટે પણ વેરિફિકેશન કરવાનું રહેશે.
ઈમેલ પર મળેલા OTP દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે.